શ્રી શત્રુંજય ગિરિરાજ–પાલીતાણા તીર્થની માહિતી

ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના સોરઠ (સૌરાષ્ટ્ર-સુરાષ્ટ્ર) નામથી જાણીતા વિસ્તારના અગ્નિકોણમાં સ્થિત શત્રુંજયગિરિનું સ્થાન જૈન તીર્થોની શ્રેણીમાં સિરમોર સ્થાને છે. પ્રાચીન આગમોમાં સિદ્ધક્ષેત્ર તરીકે સંજ્ઞાપિત અને સમગ્ર જનસમૂહમાં શાશ્વતગિરિ તરીકે સુવિખ્યાત આ તીર્થની યાત્રા એ પ્રત્યેક જૈન માટે જીવનનું અણમોલ સપનું હોય છે, જીવનનું પરમ ધ્યેય હોય છે.

ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં સ્થિત પાલીતાણા એ સમુદ્ર-સ્તરથી 66 મીટર એટલે 217 ફૂટ ઉંચાઈ ઉપર 13 સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલું સોહામણું નગર છે. ઈસ્વીસન 2011ની વસતિ ગણતરી પ્રમાણે એની જનસંખ્યા 1.75 લાખની છે. એમાં 52 ટકા પુરુષો તથા 48 ટકા મહિલાઓ છે. 15 ટકા વસતિ 6 વરસથી નીચેની વયના બાળકોની છે. ભણતરનાં આંક પ્રમાણે પુરુષોમાં 59 ટકા અને મહિલાઓમાં 57 ટકા સાક્ષરતા છે. અમદાવાદથી 225 અને ભાવનગરથી દક્ષિણ પશ્ચિમમાં 51 કિલોમીટર આવેલા પાલીતાણા નગરનો પ્રાણ છે શત્રુંજયનો ઊંચો ઊંચો ગિરિરાજ! પાલીતાણા રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી અંદાજે 2 કિલોમીટર જેટલો લાંબો રસ્તો કે જેની બંને બાજુ ગામ વસ્યું છે અને જાત જાતની વસ્તુઓના બજાર વિકસ્યા છે. એકથી એક ચઢિયાતી સગવડતાઓ સાથેની 200 ઉપરાંત ધર્મશાળાઓની હારમાળા પથરાયેલી છે. આ બે કિલોમીટરનો રસ્તો પસાર કરો એટલે આવે શત્રુંજય પર્વતની તળેટી!!!

તળેટી એટલે કોઈ પણ પર્વત ઉપર ચઢવાનો પ્રારંભ જ્યાંથી થતો હોય અને વ્યવસ્થિત પગથિયા બનાવેલ હોય કે ઉબડ ખાબડ પથરા ગોઠવેલા હોય એ ભૂમિને તળેટી તરીકે ઓળખવામાં આવે છે. કયાંક એને પાજ અથવા પાગ પણ કહેવામાં આવે છે. પાજ એટલે નિશ્ચિત બાંધેલી જગ્યા! જેમ કે ઘેટી ગામ તરફથી ગિરિરાજ ઉપર ચઢવાના રસ્તાના પ્રારંભને ઘેટી પાગ કહેવામાં આવે છે. આમ તો એ પણ તળેટી જ કહેવાતી હતી.

પૂર્વ કાળમાં પહેલી તળેટી ‘વડનગર’ હતી. પછી બીજી તળેટી વલ્લભીપુર-વળાથી પ્રખ્યાત થઇ. તે પછી સમયના પ્રવાહ સાથે વહેતા તળેટી આદપુરથી પ્રારંભ થઇ, ચોથી તળેટી પાલીતાણાની થઇ, અને પાંચમી તળેટી એટલે હાલમાની ‘જય તળેટી’, જે અત્યારે પ્રચલિત છે. રણસી દેવરાજની ઘર્મશાળાની બાજુમાં એક રૂમ છે, તેમાં દેરી અને આદીશ્વર ભગવાનનાં પગલાં છે તેને પણ જૂની તળેટી કહે છે. વળી કંકુબાઇની ઘર્મશાળા પાસે જૂની વિજય તળેટીનો ઓટલો કહેવાય છે, તેની ઉપર શ્રી આદીશ્વર ભગવાન, શ્રી ગૌતમસ્વામી અને મણિવિજયજી મહારાજનાં પગલાં છે, તેને પણ જૂની તળેટી કહે છે. આમ તળેટી અંગે જે-તે સમયે જુદી જુદી પરંપરાઓ અને માન્યતાઓ અસ્તિત્વમાં આવી. વર્તમાનમાં છેલ્લા 100-200 વરસથી કે તેથી પણ વધારે સમયથી પાલીતાણામાં શત્રુંજય ગિરિરાજ ઉપર ચઢવાનો માર્ગ જય તળેટીનો નિશ્ચિત અને એક જ જાણીતો થઈ જવાથી તે ભાગ બહુ પ્રખ્યાતિ પામ્યો. સમયે-સમયે દર્શનાર્થી યાત્રિકો માટે આરાધના પૂજા પાઠ વગેરે સગવડતા તથા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પેઢી તરફથી એને સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યો છે. વરસો પહેલા જય તળેટીનો ઓટલો ખુલ્લો હતો. તેની જમણી બાજુમાં અમદાવાદના નગરશેઠ હેમાભાઇ વખતચંદે આરસની દેરીપૂર્વક મંડપ બંધાવ્યો હતો. જ્યારે ડાબી બાજુએ ઘોલેરાવાળા શેઠ વીરચંદ ભાઇચંદે આરસની દેરીપૂર્વક મંડપ બંધાવ્યો હતો. તળેટીનો મોટો ચોક હવે મંડપ–તોરણ, થાંભલા અને કમાનોથી સુશોભિત થવાના લીધે ખૂબજ ભવ્ય લાગે છે. થોડાક જ પગથીયા ઉપર ચઢીને હોલમાં પ્રવેશતા સામે જ કુલ ૧૧ દેરીઓની સ્થાપના છે. ઓટલા ઉપરની બઘી દેરીઓ જુની અને જીર્ણ થઈ જવાથી વિ.સં. 2034માં આણંદજી કલ્યાણજી પેઢીએ જીર્ણોદ્ધાર કરાવીને સુંદર, શોભાયમાન દેરીઓ ફરી નિર્મિત કરાવીને તેની પુન:પ્રતિષ્ઠા કરાવી.

પ્રત્યેક દેરીમાં ભગવાન ઋષભદેવ તથા અન્ય તીર્થંકરોની ચરણ પાદુકાઓ છે. ધ્વજદંડ તથા એના ઉપર લહેરાતી નાની- નાની ધજાઓથી શોભતી (સિદ્ધશિલા) વચલી દેરીનું શિખર મોટું અને કલાત્મક બનાવ્યું છે. દેરીઓના આગળના ભાગમાં ગિરિરાજની પાષાણ-શિલાઓનો હિસ્સો પણ ખુલ્લો રખાયેલો છે. યાત્રિકો દ્વારા તેની ભક્તિભાવથી પૂજા કરાય છે, વંદાય છે તથા શણગારાય છે. યાત્રાના પ્રારંભમાં અહી સ્તુતિ સ્તવના તથા ચૈત્યવંદન કરવું અતિ મહત્વનું તથા શુભ મનાય છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શત્રુંજયના સાદને સાંભળીને દોડી આવેલા પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજોને ભાવસભર બનીને દર્શન વંદન કરતા જોવા, યાત્રિક ભાઈ-બહેનોને ચોખાના સાથિયા પૂરતા અને શબ્દોના તેલને પૂરી સ્વરના દીવડાઓ પેટાવવા પૂર્વક પ્રભુના ગુણ ગાતા જોવા એ મધુરો લ્હાવો છે. ભાવભરી ભક્તિ-વંદના કરીને પર્વત ઉપર બિરાજમાન દાદા આદિનાથના દર્શન કરવા માટે જય અદિનાથ, જય દાદા, જય શત્રુંજય, જય સિધ્ધગિરિ, જેવા હર્ષોલ્લાસભર્યા ઉદ્દગારો સાથે યાત્રિકો તળેટીથી આરંભ થતા પગથીયે ડગલા મૂકે છે અને આમ આરંભાય છે શાશ્વતગિરિની યાત્રા!

તળેટીની ઉપર ધનવસહીની ટૂંકના નામે પ્રખ્યાત જિનાલય મુર્શિદાબાદના નિવાસી રાય ઘનપતસિંહજી તથા લખપતસિંહજી બાબુ નામના બે ભાઇઓએ એમની માતા મહેતાબકુંવરના શ્રેય નિમિત્તે બંઘાવરાવ્યુ હતું, જેની પ્રતિષ્ઠા વિ.સં 1950માં મહા સુદિ દશમના રોજ કરવામાં આવી હતી. આ દેરાસરમાં દાદા આદીશ્વરજી, પુંડરિક સ્વામીની પ્રતિમા તથા રાયણ પગલા જળમંદિર વગેરેની સ્થાપના થયેલી છે. યાત્રીકો એના દર્શન કરીને આગળ વધે છે. ડૂંગર ઉપર ચઢવા માટે અક્ષમ લોકો આ ટૂંકની યાત્રા કરીને પણ પોતાનો અહોભાવ વ્યક્ત કરે છે અને યાત્રા કર્યાનો સંતોષ માને છે. આજુ-બાજુ અન્ય દેવકુલિકાઓમાં જિન પ્રતિમાઓ તથા જિન પાદુકાઓની સ્થાપના થયેલી છે. ધનવસહીની ટૂંક તથા તળેટીની દેરીઓ વચ્ચે નળિયા કચ્છ નિવાસી ગોવિંદજી જેવત હિરજી ખોના દ્વારા નિર્મિત 15માં તીર્થંકર ધર્મનાથ ભગવાનનું જિનાલય પણ આવેલું છે. ઉપર ચઢતા જમણી બાજૂએ પૂજ્ય પન્યાસજી કલ્યાણવિમલજીના ઉપદેશથી નિર્મિત સરસ્વતી ગુફા નામે વિખ્યાત સાધના ભૂમિ પણ અહીં છે, જ્યાં સરસ્વતીમાતાની મનોહારી પ્રતિમા છે. અહીં અનેક સાધકો શ્રુતદેવીની ઉપાસના કરતા હોય છે. સમીપમાં નિર્મિત 108 સમવસરણ જૈન મંદિરની વિશાલકાય રચના સૌના હૃદયને ભક્તિભાવથી ભરી દે છે. આમાં 108 તીર્થોના ચિત્રપટો, 108 પાર્શ્વનાથની પ્રતિમાઓ તથા અન્ય જૈન કથા પ્રસંગોના 108 ચિત્રપટોનું આલેખન કરવામાં આવ્યું છે. સાધુ-સાધવી શ્રાવક-શ્રાવિકારુપ ચતુર્વિધ સંધના 4 અંગોના 27-27 પ્રસંગોના આલેખન યુક્ત 108 ચિત્રપટો બનેલા છે. આ જિનાલયનું નિર્માણ વિ.સં.2024માં કરવામાં આવ્યું છે.

લોકો જય આદિનાથ, જય શત્રુંજય કહીને પગથીયે-પગથીયે પોતાનો પગ મૂકતા લાકડીના ટેકે યાત્રાનો આરંભ કરે છે. તળેટીથી આરંભાતો ઉપર સુધીનો માર્ગ આશરે 3.6 કિ.મી.નો લાંબો તથા 3501 જેટલાં પગથીયા વાળો છે. વચ્ચે વચ્ચે થોડુંક સપાટ ચાલવાનું પણ આવે છે. જાત-જાતની દેરીઓમાં પ્રાચીનકાળના મહાપુરુષોની સ્મૃતિરૂપ મૂર્તિઓ તથા પગલાંની સ્થાપના છે. પોરો ખાવા કે થાક ઉતારવા, વાતાવરણને મન ભરીને નિહાળવા કે પછી તાજી હવાને શ્વાસમાં ભરવા માટે થોડા થોડા અંતરે વિસામાઓ તથા પરબો બનાવવામાં આવ્યા છે. ઠંડી હવાની લહેરખી આપતા જળથી ભરેલા કુંડો પણ રૂડા દીસે છે. આમને આમ ભક્તિના ભાવમાં રાચતા–માચતા અને દુન્યવી સુખ-દુ:ખના દ્વન્દ્વોથી દૂર થયેલા ભક્તો, ઉપરને ઉપર આગળ વધતા જાય છે.

અંદાજે 2000 ફૂટની ઊંચાઈએ આવેલા શત્રુંજય પર્વત ઉપર 100 જેટલાં સુંદર સંગેમરમરનાં જૈન દેરાસરો છે. દેરાસરોનો આવડો મોટો સમુહ વિશ્વમાં બીજે ક્યાંય નથી. પ્રાચીન સંસ્કૃતિના આ અદ્ભૂત અને અદ્વિતીય સ્થાપત્ય મંદિર નગર વિશ્વમાં બેનમુન છે. સૌંદર્ય, કલા અને પવિત્રતાની ત્રિવેણી સંગમ સમો શત્રુંજય પર્વત અને તેના જૈન મંદિરોનો અદભૂત સમુહ માનવજાતને માટે ઇતિહાસની અદભૂત ભેટ છે. ધાર્મિક અને પ્રાચીન સ્થાપત્ય કલાવારસાની દૃષ્ટિએ આ તીર્થનું દેશ-વિદેશમાં અનોખુ સ્થાન છે. માત્ર ગુજરાત રાજસ્થાનના જ નહી પરંતુ દેશભરના લાખો ભાવિક ભક્તો, જૈનો તેમજ જૈનેતર લોકો તથા વિદેશમાં વસતા હજારો જૈનો અને અન્ય દેશી વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં દર્શન અને પૂજા ભક્તિ માટે અહી દોડ્યા દોડ્યા આવે છે અને લાભ લે છે. આ તીર્થની ખ્યાતિ પ્રાયઃ શાશ્વત તીર્થ તરીકે ગણાય છે. આ અવસર્પિણીના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન પૂર્વ 99 વાર (6985440000000000 વાર) ગિરિરાજ ઉપર પધાર્યા હતા. તેમના ચરણોથી પવિત્ર બનેલ આ તીર્થ ભગવાન ઋષભદેવ તીર્થ તરીકે પ્રસિદ્ધી પામેલું છે. ભગવાન ઋષભદેવના પ્રથમ ગણધર શ્રી પુંડરિક સ્વામી આ ગિરિરાજ ઉપર નિર્વાણ પામ્યા હતા. આ તીર્થ ઉપર અસંખ્ય આત્માઓ આત્મસાધના કરી નિર્વાણ પામેલા છે. તેથી આ તીર્થ સિદ્ધક્ષેત્ર અથવા સિદ્ધાચલ તરીકે પણ ખ્યાતિ પામેલું છે. આ ક્ષેત્રનો પ્રભાવ અદ્ભૂત છે તેની સ્પર્શનાથી કર્મમળ નાશ પામે છે. દર્શનથી સમ્યકદર્શન નિર્મળ થાય છે અને યાત્રાથી જીવન કૃતાર્થ બની જાય છે.

માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના લાખો ભાવિક ભક્તો, જૈનો તથા જૈનેતર લોકો તથા વિદેશી યાત્રિકો તથા પ્રવાસીઓ મોટી સંખ્યામાં દર્શન અને પૂજા ભક્તિનો લાભ લે છે.

વધુ વાંચો ▼
ઓછું વાંચો ▲

વિ.સં. 1244 તેજપાળ મંત્રી દ્વારા નિર્મિત સંચાર પાંજા (ઘડ્યા વગરના પત્થરો દ્વારા નિર્મિત પગથિયારૂપ પર્વતીય માર્ગ) બનાવીને આ તીર્થના આરોહણ માટે સગવડતા કરાઇ હતી. આના જુના અવશેષો આજે પણ હિંગળાજના હડાની પાછળના ભાગમાં જોવા મળે છે. ઇસ્વીસન્ 1952-1956 દરમ્યાન આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા નવનિર્મિત પત્થરોનો ઉપયોગ કરીને 3216 જેટલા પગથીયા બનાવવા પૂર્વક સુંદર-સરળ રસ્તાનુ નિર્માણ થયું. અને ત્યારબાદ વખતો વખત જાળવણી કરીને વ્યવસ્થિત રાખવામાં આવે છે.

તીર્થયાત્રા દરમ્યાન/ઉપર ચડતી વખતે ખાવા-પીવાની કોઇપણ ચીજ વસ્તુ સાથે લઇ જવાની સખ્ત મનાઇ છે.

આમ તો સમગ્ર યાત્રા ઉઘાડા પગે કરવાની હોય છે. પણ આવશ્યકતા પડતા કપડાના બૂટ-ચંપલ કે મોજડી વગેરે મળી રહેતા હોય છે.

થાકેલા યાત્રિકોના વિસામા માટે થોડે થોડે અંતરે વિશ્રામ સ્થાનો, ઓટલાઓ, બાંકડાઓ, બેસવાની જગ્યાઓ, પાણી પીવા માટેની પરબો નિર્મિત થયેલી છે.

આ તીર્થ સાથે સેંકડો વરસોથી અનેક કથાઓ, ઉપકથાઓ, દંતકથાઓ જોડાયેલી છે.

આ તીર્થ અસંખ્ય લોકોની અપાર શ્રઘ્ઘા અને આસ્થાનું જીવંત પ્રતીક છે.

નાના-નાના ભૂલકાઓથી માંડીને મોટી ઉંમરના વયોવૃઘ્ઘ ભાઇ-બહેનો પણ આદીશ્વર દાદા પ્રત્યેની અગાધ શ્રદ્ધાના બળે કયારેક તો બીમારી, અસ્વસ્થતા કે અશક્તિને ગણકાર્યા વગર હોંશે હોંશે યાત્રા કરે છે!

મોટાભાગના લોકો યાત્રા દરમ્યાન ખાવા પીવાનું તો દૂર મોઢામાં કશું નાંખતા પણ નથી!

સગવડતાઓ

તીર્થાધિરાજ ઉપર પૂજા કરવા માટે સ્નાન વગેરે માટે સ્નાનગૃહોની વ્યવસ્થા છે. પરમાત્માને ફૂલો-ફૂલોના હાર અર્પણ કરવાની ભાવનાવાળાઓ માટે રામપોળની અંદરના ઓટલા ઉપર ફૂલવાળા ભાઇઓ બેસે છે જે યાત્રિકોને ફૂલો-હાર વગેરે ઉપલબ્ધ કરાવે છે.

પૂજા કરનારા ભાઇ-બહેનો માટે પૂજાના અલાયદા વસ્ત્રોની વ્યવસ્થા પણ ઉપલબ્ઘ છે.

પરમાત્માની પ્રતિમાની જલ (પક્ષાલ) ચંદન વગેરે પૂજાઓના ચડાવા નિયમિત બોલાતા હોય છે. આ ઉપરાંત નિયત સમય દરમ્યાન પૂજા કરવા ઇચ્છતા ભાઇ-બહેનો પૂજા કરીને લહાવો લેતા હોય છે.

દાન–સહયોગ આપવાની ભાવનાવાળા યાત્રિકો માટે પર્વત ઉપર કાર્યાલયની વ્યવસ્થા છે. જયાં રકમ ભરીને તથા સોના-ચાંદી વિગેરેના દાગીના જમા કરાવીને પાકી રસીદ મેળવી શકાય છે.

તીર્થ યાત્રા અંગે માર્ગદર્શન

તીર્થ યાત્રા કરનારા ભાઇ-બહેનો માટે જે અશક્ત હોય, શારીરિક કારણોસર પગે ચાલીને, ચડીને યાત્રા ન કરી શક્તા હોય એવા ભાઇ-બહેનો માટે 2-3 જાતની ડોળીઓની વ્યવસ્થા ઉપલબ્ઘ હોય છેં. જય તળેટી પાસે આના માટે એક વિશેષ કાર્યાલય (માહિતી કેન્દ્ર) કાર્યરત છે.

સામાન્ય ડોળી, ખુરશીવાળી ડોળી, 4 જણ ઉચકીને ચડે એવી ડોળી વગેરે ડોળીઓ મળી રહે છે.

યાત્રિકોને ધસારો, પર્વના દિવસો વગેરેના લીધે ડોળી માટેના ભાવોમાં ફેરફારો થતા રહે છે. પર્વત ઉપર ચઢતી વખતે ટેકા માટે વાંસની લાકડીઓ પણ મળી રહે છે.

નાના બાળકોને તેડવા માટે તથા થેલા-થેલી ઉચકવા માટે તેડાગર બહેનો મળી રહેછે.

રતનપોળમાં પગથિયાં ચઢતાં જ મઘ્ય ભાગમાં ભવ્ય ગગનચૂંબી ઉંચા મનોહર શિખરવાળું ઘૂમ્મટોની હારમાળાથી સુશોભિત મોટું જિનમંદિર અને મૂળનાયક તીર્થાઘિપતિ દાદાશ્રી આદીશ્વર ભગવાન નજરે પડે છે. દાદાનાં દર્શન થતાં યાત્રિકોનાં શિર ઝુકી પડે છે. ‘જય આદિનાથ’, ‘જય દાદા’ ના પોકારો પડઘાતા જ રહે છે. દાદાના દર્શન કરતાં હૈયું નાચી ઉઠે છે, સંતાપ ભૂલી જવાય છે અને ભાવના બળવાન બને છે. એટલું જ નહિ પણ દિલડું એવું તો ચોંટે કે ત્યાંથી ખસવાનું મન પણ ન થાય. દાદાના દર્શન અને સ્તુતિ કરે, ચૈત્યવંદન કરે, કાઉસગ્ગ કરે, ખમાસમણ દે, જાપ કરે, ધ્યાન ધરે અને ધન્યતા અનુભવે. પ્રભુના દર્શનમાં લીન-તલ્લીન બની જાય. નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના સ્ત્રી-પરુષો બધાંજ અહીં આવીને દાદામય બની જાય છે. પ્રાર્થના, સ્તવના, વિનંતિ, કાવ્યોના સ્વરો વાતાવરણને ભાવભીની ભક્તિથી છલકાવી દે છે. નાના-નાના બાળ મુનિઓ, બાળ સાધ્વીજીઓથી લઇને મોટા મોટા મહાન આચાર્ય ભગવંતો અને સાધુ-સાધ્વીજી મહારાજોને મોટી સંખ્યામાં આવી પ્રભુના દર્શન-વંદન-ચૈત્યવંદન કરતાં જોવા એ પણ મોટો લ્હાવો છે. ઘણાની આંખો અનરાધાર વરસ્યા કરે! પ્રભુને અનિમેષ નજરે નીહાળતા એમની આંખો ધરાય નહીં. અને શબ્દોમાં શત્રુંજયના ધણીના ગુણગાન સમાય નહી એવો દીપતો ને જીવતો જાગતો દાદાનો દરબાર ક્યારેક તો હૈયે હૈયું ભીંસાય એવા માનવ મહેરામણથી છલકાઇ ઉઠે છે! સહુની એકજ મુરાદ સૌના હોઠે એક જ નાદ સહુની જીભે એકજ નામ! બસ ‘દાદા આદેશ્વરજી દૂરથી આવ્યો દાદા દર્શન દો’ ના શબ્દોમાં ગાન સાથે સમગ્ર વાતાવરણ નાદમય બની જાય છે. એકાંત પણ જાણે કોલાહલથી મલકાય છે!

મંદિરની રચના બહુજ મનોહર છે. દાદાનું મંદિર ભોંયતળિએથી બાવન હાથ ઉંચું છે. શિખરમાં 1245 કુંભો છે. એકવીસ સિંહોના વિજય ચિન્હો શોભી રહ્યા છે. ચાર દિશામાં ચાર યોગિનીઓ છે. દશ દિક્પાલોનાં પ્રતીકો એના રક્ષણપણાનો ખ્યાલ આપી રહ્યા છે. મંદિરની વિશાળતાનો ખ્યાલ આપતી ગભારાની આસપાસ મંડપમાં બોતેર દેવકુલિકાઓની રચના છે (જો કે રતનપોળના કોટને લાગીને તો અનેક દેરીઓ છે). ચાર ગવાક્ષો એની ભવ્યતામાં વધારો કરે છે. બત્રીસ પૂતળીઓ અને બત્રીસ તોરણો આ મંદિરને કળામય બનાવે છે. મંદિરને ટેકવી રાખતા કુલ્લે બોતેર આધાર સ્તંભો એની કળામય રચનાને પ્રસ્તુત કરે છે. એવી સર્વાંગ સુંદર રચના પાછળ પોતાની અપાર સંપત્તિ લગાડનાર ખંભાતના તેજપાળ સોનીએ વિ.સં. 1649માં આ મૂળ મંદિરને ‘નંદિવર્ધન પ્રાસાદ’ એવું નામ આપીને આચાર્ય ભગવંત વિજય દાનસૂરીશ્વરજી તથા વિજય હીરસૂરીશ્વરજીના વરદ હસ્તે પુન:પ્રતિષ્ઠા કરાવી. આ બધા સત્કાર્યોમાં એણે અઢળક ધનનો સદ્ઉપયોગ કર્યો.

વર્તમાન દાદાની પ્રતિમાની આસપાસ જે ભવ્ય અને સુંદર પરિકર છે એનું નિર્માણ અમદાવાદના શાહ સોદાગર ઝવેરી શાંતિદાસ શેષકરણ અને એમના ભાઇ શેઠ વર્ધમાન શેષકરણે વિ.સં. 1670માં કરાવીને આચાર્ય ભગવંત સેનસૂરીશ્વરજીના હાથે પ્રતિષ્ઠાપિત કરેલ છે.

શત્રુંજયનો ઇતિહાસ પૌરાણિક-ઐતિહાસિક કાળથી ઘટના પ્રધાન રહ્યો છે.

પૌરાણિક કાળ એટલે કે ઇતિહાસના વર્ષોની ગણતરી અને આલેખન પહેલાના યુગમાં આ જાજરમાન તીર્થની ભવ્યતા અને પ્રભાવકતા ચરમસીમા ઉપર હતી. ભગવાન ઋષભદેવ સ્વયં અહીં પૂર્વ નવ્વાણું વાર પધાર્યાં હતા. એમની ચરણ રજથી આ તીર્થ પાવન બન્યું. ત્યારબાદના યુગમાં સમયે-સમયે આ તીર્થના જિર્ણોદ્ધાર થતા રહ્યા. વિક્રમ સંવત 100 અથવા 108માં યુગપ્રધાન આચાર્ય વજ્રસ્વામીના વરદ હસ્તે મધુમતી-મહુવાના રાજવી શ્રેષ્ઠિ જાવડશા (જાવડિશા)એ અપાર સંપત્તિનો સદ્વ્યય કરીને શ્રી શત્રુંજય મહાતીર્થનો જિર્ણોદ્ધાર કરાવવા પૂર્વક સુંદર દેરાસર બનાવીને તક્ષશિલા નગરીમાંથી રાજા જગમલ્લની ધર્મચક્ર સભાના ભોયરામાંથી પ્રાપ્ત આદિનાથના જિનબિંબની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ ઘટના શત્રુંજયના ઇતિહાસમાં 14માં ઉદ્ધાર તરીકે સ્થાપિત થઇ. ત્યારબાદ લગભગ બારસો વરસનો ઇતિહાસ અજ્ઞાત રહે છે અથવા તો એના આંકડા ઉપલબ્ધ નથી. કારણકે ઇતિહાસકાળની ગર્તામાં ધકેલાઇ ગયો. આ દરમિયાન બનેલી ઘટનાઓની કોઇ તવારીખ સચવાઇ નથી કે ઉપલબ્ધ નથી.

વિકાસના અનેક તબક્કાઓ જેમાં અતિ પ્રાચીન ઇક્ષ્વાકુ વંશની ક્ષત્રિય પરંપરાથી પ્રારંભ થઇ, ચૌલુક્ય યુગ(10-12મી સદી), સોલંકી યુગ(12-13મી સદી), મુસ્લિમ નવાબી યુગ(13થી 17મી સદી)ને અંગ્રેજી હકુમતનો સમયગાળો(18-19મી સદી) તથા સ્વરાજ્ય પછીના સમયથી વર્તમાન સમયના ગાળા દરમ્યાન વિકાસનું વ્યોમ જેમ જેમ વિસ્તરતું રહ્યું, તેમ તેમ વખતો-વખત વિનાશના વાવાઝોડાં પણ ઝીંકાતા રહ્યા.

સોલંકીરાજ દરમિયાન ગુજરાતના મહામંત્રી ઉદયનના સમયથી શત્રુંજય મહાતીર્થની ઐતિહાસિક ઘટનાઓની પ્રધાન તવારીખ પ્રારંભાય છે.

શ્રી શત્રુંજયોદ્ધારપ્રબંધ ઉપરથી જાણવા મળે છે કે, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, ગૂર્જર સમ્રાટ કુમારપાળદેવ અને મહામંત્રી ઉદયનના સમયમાં શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપરનું મુખ્ય જિનમંદિર લાકડાનું બનેલું હતું. ઉદયન મંત્રીશ્વરે એને પાષાણનો બનાવવાનો સંકલ્પ કર્યો કે “જ્યાં સુધી આ દેવમંદિર પાષાણનું ન બને ત્યાં સુધી મારે હંમેશને માટે એકાશનનું તપ કરવું,” પણ યુદ્ધ ભૂમિ ઉપર જ એમનો દેહાંત થઇ જવાના કારણે, ઉદયન પોતાની આ પ્રતિજ્ઞા પૂરી ના કરી શક્યા, પણ એમના પિતૃભક્ત, ધર્મભક્ત અને રાજ્યભક્ત સુપુત્ર બાહડ મંત્રીએ પિતાશ્રીની ભાવના પુરી કરવા, શ્રી શત્રુંજયના મુખ્ય મંદિરને પાષાણથી નિર્મિત કરાવીને વિક્રમ સંવત 1213માં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના વરદ હસ્તે એની પ્રતિષ્ઠા કરાવી.

આ પછી આ પહાડ ઉપર, વાઘેલા રાજ્યશાસનમાં, મહામંત્રી વસ્તુપાળ-તેજપાળના સમયમાં, અને તે પછીના વખતમાં પણ નવા નવા દેવ મંદિરો બંધાવા લાગ્યાં અને તીર્થની શિલ્પકળાની શોભામાં ક્રમે ક્રમે વધારો થવા લાગ્યો. જિન મંદિરોનો આ વધારો મોટે ભાગે દાદાના મુખ્ય દેરાસરની આસપાસ થયો હતો.

પણ કમનસીબે, આ વધારો એકધારો ચાલુ ન રહી શક્યો, અને 14માં સૈકાના ઉત્તરાર્ધમાં, વિક્રમ સંવત 1369માં તીર્થ ઉપર થયેલ મુસલમાનોના આક્રમણને લીધે, તીર્થના મંદિર અને મૂર્તિઓ ખંડિત થયા અને તીર્થ ઘણાં મોટા સંકટમાં આવી પડ્યું. આવા ભારે મુસીબતનાં સમયમાં, પાટણના શ્રેષ્ઠી દેશળશાના વગદાર અને બાહોશ સુપુત્ર સમરાશા ઓસવાળે અહીં તીર્થનો ઉદ્ધાર કરાવીને એની પુન:પ્રતિષ્ઠા કરાવવાનું બીડું ઝડપ્યું અને તીર્થોદ્ધારનું એ કાર્ય એમણે બે વર્ષ જેટલા ટૂંકા સમયમાં જ સફળતા પૂર્વક પૂરૂં કરાવીને વિક્રમ સંવત 1371માં એની પ્રતિષ્ઠા તત્કાલીન મહાન આચાર્ય ભગવંત શ્રી સિદ્ધસેનસૂરિશ્વરજીના પાવન સાનિધ્યમાં એમના જ વરદ હસ્તે કરાવી, જે 15માં ઉદ્ધાર તરીકે યાદગાર બની ગઇ.

આ પછી બે સૈકા બાદ, વિક્રમની સોળમી સદીના ઉત્તરાર્ધમાં, મુસ્લિમોના હુમલાને કારણે આ તીર્થ વળી પાછું ખંડિત થયું. આ વખતે ચિત્તોડગઢના મંત્રી સ્વનામધન્ય કર્માશાએ, ભારે હિંમત દાખવીને, વિક્રમ સંવત 1587માં આ તીર્થનો 16મો જિર્ણોદ્ધાર કરાવ્યો અને મહાન મંત્રવિધાવિશારદ આચાર્ય ભગવંત વિધામંડનસૂરિજીના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. આ મહાન આચાર્ય ભગવંત એટલા વિનમ્ર અને પ્રસિધ્ધિથી દૂર રહેનારા હતા કે પ્રતિષ્ઠા વખતે શિલાલેખમાં પોતાનું નામ ના મૂકાવતા “સર્વ સૂરિભ્ય” એ પ્રમાણે કોતરાવ્યું. મહાતીર્થના જિર્ણોદ્ધારની પરંપરા મંત્રીશ્વર કર્માશાહે કરાવેલ સોળમા જિર્ણોદ્ધાર, એ અત્યાર સુધી છેલ્લા જિર્ણોદ્ધાર તરીકે નોંધાય છે. આ ઉદ્ધાર કંઇક એવા શુભ ચોઘડીયે અને એવા મજબૂત પાયા ઉપર થયો છે કે જેથી એ પછી તીર્થ ઉપર આવી પડેલી કોઇ આપત્તિના કારણે કે સમયના ઘસારાને લીધે તીર્થની સાચવણી માટે નવેસરથી ઉદ્ધાર કરવાની જરૂર નથી પડી. જોકે સમયે સમયે સમારકામ જાળવણી વગેરે માટે કાર્યો કરવામાં આવતા રહ્યાં. આજ અરસામાં વિક્રમ સંવત 1650(ઇસ્વીસન્ 1594)માં જૂના અને જીર્ણ થયેલા પ્રાસાદને ખંભાતના શ્રેષ્ઠિ શ્રી તેજપાલ સોનીએ પુનઃનિર્મિત કરાવીને એનું નામ “નંદિવર્ધન પ્રાસાદ” આપ્યું જેની પુન:પ્રતિષ્ઠા જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિશ્વરજીના વરદ હસ્તે કરાવી. ત્યારે મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હોય એવો ઉલ્લેખ નથી અને એ પુનરુદ્ધારને જિર્ણોદ્ધારનું નામ અપાયું નથી. વર્તમાનમાં જે દેરાસર વિધ્યમાન છે તે આ નંદિવર્ધન પ્રાસાદ જ છે. આ અંગેનો વિક્રમ સંવત 1650નો શિલાલેખ પણ છે.

વિક્રમની સત્તરમી સદી તો જૈન શાસનની પ્રભાવનાની દ્રષ્ટિએ તેમજ શ્રી શત્રુંજય તીર્થના મહિમાની અભિવૃદ્ધિની દ્રષ્ટિએ-એમ બન્ને દ્રષ્ટિએ, જૈન સંસ્કૃતિના ઇતિહાસનાં સોનેરી અક્ષરોથી અંકિત થાય એવી હતી.

આ તીર્થના વહીવટ, સંરક્ષણ અને સંવર્ધનમાં ગુજરાતના સંઘો જેવા કે પાટણ, ધોળકા, ખંભાત, રાધનપુર, સુરત, અમદાવાદ વગેરેનો મોટો ફાળો રહ્યો છે. આમ તો સમગ્ર ભારતભરના સંઘોના સાથ અને સહકારથી જ તીર્થનો વિકાસ થયો છે. સોલંકીકાળમાં આ તીર્થનો વહિવટ પાટણના જૈન સંઘના શ્રેષ્ઠિ મહાજનો અને મંત્રીઓ કરતા હતા. વાઘેલા શાસન દરમ્યાન એટલે કે વસ્તુપાલ–તેજપાલના સમયમાં આ સમગ્ર વહીવટ ધોળકાથી થતો હતો. ત્યારબાદ મોગલકાળમાં રાધનપુર, ખંભાત તથા અમદાવાદના અગ્રણી જૈન શ્રેષ્ઠિઓ કરતા રહ્યા. નગરશેઠ શ્રી શાંતિદાસ શેઠના સમયમાં અને ત્યારબાદ પણ અમદાવાદના નગરશેઠ અને શ્રેષ્ઠિઓ જ વહીવટ કરતા રહ્યા છે. અંદાજે વિ.સં. 1787થી અમદાવાદ સ્થિત જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ આ તીર્થનો વહિવટ વિધિવત સંભાળ્યો અને પછી તો એ પેઢી બંધારણ ઘડીને વિ.સં.1968 (ઈ.સન્‌ 1912)થી ભારતભરના સમગ્ર શ્વેતાંબર જૈન સંઘનું પ્રતિનિધિત્વ કરનારી બની. તીર્થના વિકાસ ક્રમની સક્રિય સહયોગી બની અને સંરક્ષણ–સંવર્ધનની જવાબદારી જે એ વરસોથી સંભાળતી હતી તેને આગળ વધારી.

મોગલકાળમાં આ મહાતીર્થની રક્ષા માટે આચાર્ય ભગવંતો, શ્રેષ્ઠિ મહાજનો અત્યંત ચિંતિત હતા. જગદ્‌ગુરૂ હીરવિજયસૂરિજી તથા તેમના પ્રતિભાશાળી પ્રભાવી શિષ્યો, સૂરિસવાઈ વિજયસેનસૂરીજી, વિજયદેવસૂરિજી, ઉપાધ્યાય શાંતિચંદ્રજી, ઉપાધ્યાય ભાનુચંદ્રજી, ઉપાધ્યાય સિધ્ધિચંદ્રજી વગેરેના સતત ઉપદેશ, પ્રેરણા અને આશીર્વાદથી મોગલ બાદશાહ મહાન અકબર દ્વારા શત્રુંજ્ય વગેરે 7 તીર્થોની માલિકી અન્ય વહિવટના તમામ અધિકારો ફરમાનો આપીને હીરવિજયસૂરિજીના નામે ભેંટ રૂપે જાહેર કરાવ્યા હતા. કોઈ પણ પ્રકારના વેરા કે ટેક્સ વગેરે લેવાની મનાઈ પણ કરવામાં આવી હતી. અકબર પછીના તત્કાલીન મુગલ બાદશાહોના દરબારી ઝવેરી તરીકે જાણીતા અમદાવાદના શાહ સોદાગર અને જૈન શ્રાવક પરંપરાના મોભી અગ્રણી શેઠ શાંતિદાસ શેષકરણ ઝવેરીથી પ્રભાવિત અને પ્રસન્ન રહેનારા શાહજહાં, જહાંગીર, મુરાદબક્ષ, ઔરંગઝેબ વગેરેએ પણ શત્રુંજ્ય વગેરે તીર્થો શાંતિદાસને ભેટ રૂપે આપ્યાના ફરમાનો જારી કર્યા હતા. શત્રુંજ્યની તમામ આવક-ઉપજ અને મહેસુલ ઉપરનો અધિકાર નગરશેઠ શ્રી શાંતિદાસ શેઠનો અને એના વંશજોનો છે એવા લખાણો કરાયા હતા. આવા કુલે 9 ફરમાનો જારી થયા હતા.

અકબર દ્વારા 1 ફરમાન નંબર 1

જહાંગીર દ્વારા 2 ફરમાન નંબર 2 અને 8

શાહજહાં દ્વારા 3 ફરમાન નંબર 3, 4 અને 5

મુરાદબક્ષ દ્વારા 1 ફરમાન નંબર 6

ઔરંગજેબ દ્વારા 2 ફરમાન નંબર 7 અને 9

આમાંના 7 ફરમાનો આજે પણ આણંદજી કલ્યાણજી પેઢી પાસે સચવાયેલા છે.

મુગલ સલ્તનતના વળતા પાણી થવાની સાથે દેશી નાના-નાના રાજ્યો પોતાની સત્તા, પોતાનો વિસ્તાર વધારવાની પેરવી કરવા લાગ્યા. આ બાજુ અંગ્રેજો/ફિરંગીઓ વગેરે એક પછી એક રાજ્યો પર અધિકાર જમાવવા લાગ્યા. એવા સમયે ‘અધિકારના પ્રશ્ને મુગલ ફરમાનોનું બહુ વજન કે મહત્વ રહેશે નહીં’ આવી વાસ્તવિક સમયજ્ઞતાને ધરાવનારા, સમયના આગોતરા પારખું શાંતિદાસ શેઠે તત્કાલીન ગોહિલવાડ (સૌરાષ્ટ્રામાં ભાવનગર આસપાસનો વિસ્તાર)ના ઠાકુર રાજવી કાંધલ જોડે શત્રુંજ્ય તીર્થના રખોપાનો બહુ મહત્વપૂર્ણ કરાર કર્યો. આ કરાર કરતી વખતે અમદાવાદના વીશા શ્રીમાળી જ્ઞાતિના બે ધુરંધર બંધુઓ શાહ રતનજી અને શૂરાને એમણે સાથે રાખ્યાં. જો કે એ પહેલા કરારમાં કોઈ નિશ્ચિત રકમ આપવાની વાત નહોતી પણ વારે-તહેવારે, પ્રસંગોપાત્‌ પહેરામણી રૂપે વસ્તુઓ, રોકડા રૂપિયા વગેરે આપવાની ગોઠવણ હતી. આ કરાર પછી 170 વરસ જેટલા દીર્ઘ સમય સુધી પરસ્પરની સમજૂતિ અને વિશ્વાસના સુદ્રઢ પાયા ઉપર ચાલુ રહ્યો. ત્યારબાદ વિ.સં. 1877થી 1984-ઇ.સન્ 1821 થી વિ.સ. 1928 સુધી પાલીતાણાના જે તે રાજવી ઠાકોર સાથે અન્ય ચાર કરારો થયા જેમાં દર વરસે નિશ્ચિત રકમ આપવાની ગોઠવણ હતી. આમ વ્યવસ્થા જળવાઈ રહી.

કરાર વિ.સં. ઇ.સન્ કરારના વર્ષ કરારની રકમ
2 1877 1821 10 રૂ. 4,500/-
3 1919 1863 10 રૂ. 10,000/-
4 1942 1886 40 રૂ. 15,000/-
5 1984 1928 35 રૂ. 60,000/-

આ બઘા કરારો પાલીતાણાના જે તે વખતના ઠાકોર સાથે પેઢી અને શ્રાવકો વતી કરવામાં આવ્યા હતા. પહેલો કરાર લગભગ 170 વરસ જેટલા લાંબા સમય સુઘી ચાલ્યો. બીજો કરાર પણ 40 વરસ જેટલો લાંબો રહ્યો. ત્રીજા કરાર પછી 2 વરસ મૂંડકાવેરાની(યાત્રિક દીઠ નક્કી કરેલા રૂપિયા) પરિસ્થિતિ સર્જાઇ. ચોથો કરાર પૂરો થતા વળી મૂંડકાવેરાની સ્થિતિ ચાલુ થઇ. વિ. સ. 1982મા પાલીતાણાના તત્કાલીન ઠાકોર સાહેબ બહાદુરસિહજીની આડાઈ અને જોહુકમીના કારણે મુંડકાવેરા જેવો યાત્રિક દીઠ ટેક્ષ લાદવાનો નિર્ણય લેવાયો. આણંદજી કલ્યાણજી પેઢીના અગ્રણીઓના અનુરોધથી ભારતભરના તમામ જૈન સંઘોએ આનો સખત વિરોધ કર્યો અને શત્રુંજ્યની યાત્રા કરવાનું બંધ રાખ્યું. આ એક બહું જ દુઃખદ નિર્ણય હતો પણ એ વખતે ભારતભરના શ્વેતાંબર જૈન સંઘના સંપ અને એકતાના પ્રતાપે એ શક્ય બન્યું. વિ.સ. 1982 ચૈત્ર વદ 3, ગુરુવાર, 1-4-1926 થી વિ.સં. 1984 જેઠ સુદ 13, શુક્રવાર, 1-6-1928 સુધી જડબેસલાક રીતે યાત્રા બંધ રહી. પાછળથી પાલીતાણા ઠાકોરને 35 વરસ સુધી વાર્ષિક રૂપિયા ૬૦ હજાર આપવાના કરારપૂર્વક સમાઘાન થયું અને વિ.સં. 1984 જેઠ સુદ 13, શુક્રવાર તા. 1-6-1928 ના દિવસથી તીર્થાધિરાજની યાત્રા ફરી પ્રારંભ થઇ. જોકે દેશ આઝાદ થયા પછી 19-03-1948થી તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારે રખોપાના તમામ કરારો રદ કર્યા અને યાત્રા સહુજન માટે સુલભ બની.

શત્રુંજય-પાલીતાણાએ જોયેલી તડકી-છાંયડીનો ઇતિહાસ રોમાંચક છે, દુ:ખદ છે, અને ક્યાંક આઘાત પમાડે તેવો છે, ક્યાંક જૈન શાસનની એકતા, ધૈર્ય, દ્રઢતા અને ગૌરવનો પરચો કરાવે તેવો પણ છે.

શત્રુંજય મહાતીર્થના સીમા-ચિન્હરૂપ અન્ય વિકાસ કાર્યો

રામપોળ, સગાળપોળ, વાઘણ પોળ, હાથી પોળ, રતનપોળ વગેરે પોળો વગેરેનું નવનિર્માણ ઈસ્વીસન્‌ 1963-64માં શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પરિવાર દ્વારા કરાવવામાં આવ્યું. દરેક દ્વાર કલાત્મક પાકા પત્થરના અને રમણીય કોતરણીથી કંડારાયેલા છે.

આશરે 58 વરસ પૂર્વે ઈસ્વીસન્ 1952-56 દરમ્યાન આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા તળેટીથી રામપોળ સુધી નવનિર્મિત પત્થરોનો ઉપયોગ કરીને 3501 જેટલા પગથિયા બનાવવા પૂર્વક સુંદર રસ્તાનું પુન:નિર્માણ કરવામાં આવ્યું અને પછી વખતોવખત જાળવણી પૂર્વક એને વ્યવસ્થિત રાખવામાં આવે છે.

આજ પ્રમાણે ઘેટી પાગના રસ્તાના પગથિયાઓનું પુનઃનિર્માણ પણ પેઢી દ્વારા ઈસ્વીસન્ 1965માં કરાવવામાં આવ્યું.

શત્રુંજ્ય શૈલ ઉપર નિર્મિત વર્તમાન જિનભવનોનું શિલ્પ-સ્થાપત્ય અને નિર્માણ ભારતીય સોલંકી-પશ્ચાત-સોલંકીકાલીન વ્યાપ્ત અને વિશ્રૃત મારુ ગુર્જર શૈલીના છે.

ભક્તિ ભાવના ઘોડાપુર જ્યાં વહેતા હોય ત્યાં નિયમો, મર્યાદાઓ, પરંપરાઓ અને શિલ્પ સ્થાપત્યની સીમારેખાઓ ના સચવાય એ સ્વાભાવિક છે. શત્રુંજ્ય સાથે પણ આવું જ બન્યું.

પવિત્ર શત્રુંજ્ય પર્વત ઉપર દેરાસરોનું નિર્માણ કરાવવું એ પુણ્યાનુબંધી પુણ્યનું પ્રબળ પ્રતિક પ્રસ્થાપિત થવાના કારણે અનેક શ્રદ્ધા સમ્પન્ન મહાનુભાવોએ સમર્પિત ભાવે દાદાના દેરાસરની આસપાસ નાના-મોટા દેરાસરોનું નિર્માણ કરાવતા રહ્યા. સમય જતા એ આખો વિસ્તાર ગીચ બનતો ગયો. વિ.સં. 1876ના ચૈત્રી પૂનમના શ્રીસંઘે એક ઠરાવ દ્વારા એ વિસ્તાર એટલે કે હાથીપોળના ચોકમાં નવા દેરાસરો, દેરીઓ ન બને એ માટે સખત શબ્દોમા પ્રતિબંધ મૂકવામા આવ્યો. દેરીઓ કે દેરાસરો બનાવવાનુ બંધ થયુ પણ ભાવુક ભક્તો દ્વારા પ્રાચીન સ્થાપત્યકળાના એક ઉત્તમ નમૂનારૂપ દાદાના વિશાળ અને ઉત્તુંગ જિનપ્રસાદની આસપાસ તથા બીજે, જ્યાં-જ્યાં જિનપ્રતિમા પધરાવી શકાય એવી ખાલી જગ્યા દેખાઈ ત્યાં શિલ્પશાસ્ત્રના નિયમોનો, જિનબિંબ પધરાવવાના વિધાનો કે આશાતનાનો વિશેષ વિચાર કર્યા વગર ઠેર-ઠેર, જુદા-જુદા સમયે, સેંકડો જિનપ્રતિમાઓ પધરાવવામાં આવી, એથી મુખ્ય દેરાસરનો તથા અન્ય સ્થાનોનો શિલ્પકલાનો વૈભવ ઢંકાઈ ગયો અને જાણે-અજાણે જાતજાતની આશાતનાઓ પણ થવા લાગી.

આ આશાતનાને ટાળવી હોય, જિનપ્રસાદની ઢંકાઈ ગયેલી શિલ્પ સમૃદ્ધિને અને ભવ્યતાને ફરી પ્રગટ કરવી હોય અને શિલ્પશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હોય તો ગમે ત્યાં, ગમે તે રીતે પધરાવી દેવામાં આવેલ આ પાંચસો કરતાં પણ વધુ સંખ્યાનાં જિનબિંબોનું ત્યાંથી ઉત્થાપન કરીને એમને અન્ય સ્થાનમાં પુનઃપ્રતિષ્ઠિત કરવામાં આવે, એ આવશ્યક બની ગયું.

નવી ટૂંકનું નિર્માણ

પેઢી દ્વારા આ સન્દર્ભમા વિ.સં. 2018/ઇ.સન 1962ની મિટીંગમા દાદાની ટૂંકના જીર્ણોધ્ધારનો નિર્ણય લેવાયો. આ બાબતમા જૈન સંઘના તત્કાલીન આચાર્ય ભગવંતો, પદસ્થ મુનિ ભગવંતો પાસેથી શાસ્ત્રીય માર્ગદર્શન તથા દિશા-નિર્દેશ મેળવવામાં આવ્યા. અત્યંત નાજુક અને સંવેદનશીલ એવી આ બાબતે વિ.સં. 2020માં પેઢીના ટ્રસ્ટીઓ દ્વારા સર્વાનુમતે નિર્ણય કરીને કાર્યવાહીનો પ્રારંભ કરાયો. જેમા વિ.સં. 2020ના શ્રાવણ વદ 3ના દિવસે 170 જેટલી જિનપ્રતિમાઓને બહુમાનપૂર્વક વિધિ સહ ઉત્થાપિત કરવામા આવ્યા. એ જ રીતે વિ.સં. 2021ના જેઠ વદ 10નાં દિવસે અન્ય 350 જેટલા જિન બિમ્બોને ઉત્થાપિત કરાયા. દાદાની ટૂંકની સમીપે નવા દેરાસર–સંકુલ, નવી ટૂંકના નવનિર્માણ માટેનો શિલાન્યાસ વિધિ વિ.સં. 2022 જેઠ વદ 1/4-6-1966ના દિવસે શ્રેષ્ઠિવર્ય્ય શ્રી કસ્તૂરભાઇ લાલભાઇના પુણ્ય હસ્તે કરવામા આવ્યો. સમગ્ર નિર્માણ-પ્રક્રિયાને સમ્પન્ન થતા 10 વરસ લાગ્યા. વચ્ચે થોડા વિઘ્નો આવ્યા, સમસ્યાઓ સર્જાઇ, ગેરસમજણો પેદા થઈ પણ શ્રીસંઘના પ્રબળ પુણ્યોદયે વિઘ્નોના વાદળા હઠી ગયા અને સંઘ ઐક્યનો સુરજ ફરી સોનેરી બનીને ઉગ્યો. શ્રેષ્ઠી કરમાશાએ વિ.સં. 1587માં કરાવેલ સોળમાં જિર્ણોધ્ધાર પછી ચારસો પિસ્તાળીસ વર્ષ બાદ, તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય મહાગિરિ ઉપર જીર્ણોદ્ધારનો પ્રસંગ પાર પડ્યો. વિવિધ ગચ્છો સમુદાયોના પદસ્થ મુનિ ભગવંતો અને સુવિશાળ શ્રમણ-શ્રમણી ગણ તથા માનવ મહેરામણ જેવા શ્રાવક-શ્રાવિકા સમૂહરૂપ ચતુર્વિધ શ્રીસંઘની શ્રધ્ધા-ભક્તિ-સમર્પણ સમ્પન્ન ઉપસ્થિતિમાં, વિ.સં. 2032ના પોષ વદ 14, તા. 30-1-1976, શુક્રવાર થી મહા સુદ 8, તા. 8-2-1976, રવિવાર સુધી દસ દિવસના વિવિધ પ્રકારના ઉત્સવ અને આયોજન સાથે નૂતન બાવન જિનાલયવાળા જિન પ્રાસાદનો પ્રતિષ્ઠા મહોત્સવ શાનદાર રીતે ઉજવાયો. વિ.સં. 2032ના મહા સુદ 7, 7-2-1976ના દિવસે નૂતન-જિનાલયના મૂળનાયક આદીશ્વર દાદા સહિત તમામ જીન-પ્રતિમાઓને બિરાજમાન કરવામાં આવી. જૈન પરંપરાના સંવિગ્ન આચાર્ય ભગવંતોના માર્ગદર્શન અને સાન્નિધ્યતળે દબદબાપૂર્વક ઉજવાયેલ આ મહોત્સવ માટે સ્વ. શેઠ કસ્તુરભાઈ લાલભાઈની કુનેહ, દીર્ઘદર્શિતા અને મક્કમતાસભર વ્યક્તિત્વે સિંહફાળો આપ્યો. એમના તત્કાલીન સાથી-સહયોગી દળનું એ અભૂતપૂર્વ કાર્ય લેખાયું.

શ્રી સિદ્ધાચલની ભાવયાત્રા

આપણે ભાવથી એકાગ્ર ચિત્તે શ્રી શત્રુંજયની યાત્રા કરીએ.

અરિહંત સ્વરૂપને ઓળખી એનાથી ભાવિત બની એના રૂપમ ખોવાઈ જવાનો તદરૂપ બનાવાનો અવસર શત્રુંજય ગિરિરાજની યાત્રાના માધ્યમથી મળે છે. તેથી આપણે બીજું બધું ભૂલી જઈને કેવળ યાત્રામય બનીને ભાવથી શત્રુંજયની યાત્રાનો પારંભ કરીએ.

  1. ધર્મશાળામાંથી નીકળીને રસ્તામાં આવતા જિનમંદિરોએ “નમો જિણાણં” બોલતા
    બોલતા આપણે જય તળેટીએ આવ્યા.
  2. અહીં સ્તુતિ –ચૈત્યવંદન વગેરે કરીએ.
  3. સામે લાઈનબંધ અગિયાર દેરીઓમાં ઋષભદેવ વગેરે તીર્થકરોનાં પગલાં સમક્ષ
    નમો જિણાણં.
  4. ડાબી બાજુ ઓટલા ઉપરની દેરીમાં આદિનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં.
  5. જમણી બાજુ ઓટલા ઉપરની દેરીમાં શ્રીપુંડરિક સ્વામીનાં ચરણપાદુકાએ નમો સિદ્ધાણં
    હવે આપણે ઉપર ચઢવાની શરૂઆત કરીએ.
  6. ડાબી બાજુએ શ્રી ધર્મનાથના મંદિરે નમો જિણાણં
  7. ડાબી બાજુની દેરીમાં અજિતનાથ ચરણપાદુકાએ નમો જિણાણં
  8. જમણી બાજુની દેરીમાં શ્રી ગૌતમસ્વામીના ચરણપાદુકાએ નમો જિણાણં
  9. જમણી બાજુની દેરીમાં આદિનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
  10. જમણી બાજુની દેરીમાં શાંતિનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
  11. જમણી બાજુશ્રી સરસ્વતી દેવીને “દેવી,સરસ્વતી જ્ઞાન આપો” કહીને નમન
  12. જમણી બાજુની દેરીમાં શ્રી ધર્મનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
  13. જમણી બાજુની દેરીમાં શ્રી કુંથુનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
  14. જમણી બાજુની દેરીમાં શ્રી નેમિનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
  15. ડાબી બાજુ આવેલા બાબુના દેરાસરમાં જલમંદિરે નમો જિણાણં
  16. જલમંદિરની સામે શ્રી ગૌતમસ્વામીને નમો જિણાણં
  17. પાછા ફરતાં સહસ્ત્રકૂટ- રત્ન મંદિર વગેરે સ્થળે નમો જિણાણં
  18. ધનવસહીના મંદિરમાં મૂળનાયક આદિનાથને નમો જિણાણં
  19. ધનવસહીના મંદિરની ભમતીમાં પુંડરિક સ્વામીને અને તીર્થંકરોને નમો જિણાણં
  20. ધનવસહીના મંદિરના બહારના ભાગમાં રાયણ ચરણપાદુકાએ નમો જિણાણં
    હવે આપણે ધનવસહીના મંદિરમાંથી શત્રુંજય ઉપર જવાના રસ્તા પર આવ્યા.
  21. ધનવસહીના મંદિરની સામે સમવસણ મંદિરે નમો જિણાણં
    હવે થોડા આગળ ચાલીએ, આપણે હવે પહેલે વિસામે આવ્યા.
    પછી થોડા આગળ ચાલીને
    ધોળી પરબના બીજા વિસામે આવ્યા.
  22. ત્યાં જમણી તરફ ભરત મહારાજા ચરણપાદુકાએ નમો જિણાણં
    હવે થોડા આગળ ચાલીએ આપણે ઈચ્છાકુંડ પાસે આવ્યા.
  23. ત્યાંથી થોડુંક ચઢતાં, જમણી બાજુની દેરીમાં આદીશ્વર અને નેમિનાથના
    ચરણપાદુકાએ નમો જિણાણં
  24. બાજુમાં નેમિનાથના ગણધર વરદત્તના ચરણપાદુકાએ નમો નમો જિણાણં
    હવે થોડા ઉપર ચઢીને આપણે લીલીપરબ પાસે ત્રીજા વિસામે આવ્યા.
  25. ત્યાં બાજુમાં આદિનાથના ચરણપાદુકાએ નમો જિણાણં
    હવે આપણે થોડા ઉપર ચઢીને કુમારકુંડ પાસે આવ્યા.
    ત્યાંથી થોડુંક આગળ ચાલીને આપણે હિંગળાજના હડા પાસે આવ્યા.
    ત્યાં ચઢાણ કઠીન છે. ચઢવામાં ઉત્સાહ વધે એ માટે આ વિષે એક દુહો પ્રચલિત બન્યો છે.
    આવ્યો હિંગળાજનો હડો, કેડે હાથ દઈને ચઢો
    ફૂટ્યો પાપનો ઘડો,બાંધ્યો પુણ્યનો પડો
    થોડુંક આગળ ચાલીને આપણે પરબની પાસે ચોથા વિસામે આવ્યા.
  26. ત્યાં કલિકુંડ પાર્શ્વનાથના ચરણપાદુકાએ નમો જિણાણં
    થોડું ચાલીને આપણે છાલા કુંડ અને પરબ પાસે આવ્યા.આ પાંચમો વિસામો છે.
  27. છાલાકુંડની સામે ચાર શાશ્વત જિનનાં ચરણપાદુકાએ નમો જિણાણં
  28. થોડું આગળ જતાં કિલ્લેબંધીવાળા ભાગમાં શ્રીપૂજયની ટૂંકમાં આવેલી દેરીમાં
    પદ્માવતી દેવીના મસ્તકે રહેલા શ્રી પાર્શ્વપ્રભુને નમો જિણાણં
  29. અને પદ્માવતી દેવીને ‘રક્ષ મામ્ દેવી, પદ્મે’ કહીને પ્રણામ.
  30. બીજી દેરીમાં માણીભદ્ર વીરને પ્રણામ.
  31. ત્યાં આવેલા કુંડને ફરતી દેરીઓમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથના અને આદિનાથના
    ચરણપાદુકાએ નમો જિણાણં
    શ્રી ગૌતમસ્વામીના ચરણપાદુકાએ નમો જિણાણં
    (કુંડની ચારે બાજુ એક-એક એમ ચાર દેરીઓ છે. તેમાં અનુક્રમે ગોડીજી પાર્શ્વનાથના,
    આદિનાથના, ગૌતમસ્વામીના અને ધર્મસુરીશ્વરજીના પગલાં છે.)
    અહીંથી આગળ ચાલીને ચઢાણ જ્યાં પૂરું થાય છે. ત્યાં આપણે આવ્યા.
    ત્યાંથી આગળ જતાં જમણી બાજુ ચોતરા ઉપર
  32. દ્રવિડ,વારિખિલ્લ, અઈમુત્તા, અને નારદજીની મૂર્તિને નમો જિણાણં
    થોડુંક આગળ ચાલીને આપણે હીરાકુંડ પાસે આવ્યા.ત્યાંથી
    થોડુંક આગળ ચાલીને આપણે બાવળકુંડ પાસે આવ્યા.
    ત્યાંથી જરાક આગળ જતા જમણી બાજુ
  33. ક્રમશ: રામ,ભારત, થાવચ્ચાપુત્ર, શુકપરિવ્રાજક અને શેલક આચાર્યની મૂર્તિઓને
    નમો જિણાણં
    ત્યાંથી થોડું આગળ જતાં-
  34. સુકોશલ મુનિની મૂર્તિને નમો જિણાણં
    ત્યાંથી થોડું આગળ જતાં ડાબી બાજુ
  35. નમિ-વિનમિના ચરણપાદુકાએ નમો જિણાણં
    થોડું આગળ ચાલીને આપણે વડલાવાળા છઠ્ઠા વિસામા પાસે આવ્યા.
  36. ત્યાં દેરીમાં આદિનાથના ચરણપાદુકાએ નમો જિણાણં
  37. બાજુમાં રહેલી હનુમાનજીની મૂર્તિને નમો જિણાણં
    ત્યાંથી આદિનાથની ટૂક તરફ આપણે ચાલીએ.
    થોડું આગળ જતાં જમણી તરફ પર્વતમાં કોતરેલી
  38. જાલિ-મયાલિ-ઉવયાલિની મૂર્તિને નમો સિદ્ધાણં. ત્યાંથી આગળ ચાલીને આપણે રામપોળ પાસે આવ્યા.
  39. રામપોળમાં પ્રવેશતાં સામે પાંચ શિખરના મંદિરે નમો જિણાણં
  40. તેની બાજુમાં આવેલા ત્રણ શિખરના મંદિરે નમો જિણાણં
    હવે આપણે સગાળપોળમાં આવ્યા.પછી વાઘણપોળમાં આવ્યા.પછી
    વિમલવસહિમાં આવ્યા. આમાં પ્રવેશતાં જ બંને બાજુએ પંક્તિબંધ મંદિરો
    દેખાય છે. તેમાં ડાબી બાજુએ સર્વ પ્રથમ શ્રીશાંતિનાથનું મંદિર છે ત્યાં
    નમો જિણાણં.. હવે આપણે
  41. શ્રી શાંતિનાથના મંદિર પ્રભુજી સમક્ષ સ્તુતિ – ચૈત્યવંદન કરીએ.
    ત્યારબાદ બહાર નીકળતાં ડાબી તરફ અનુક્રમે
  42. ચક્રેશ્વરી, વાઘેશ્વરી અને પદ્માવતી દેવીને પ્રણામ.
    હવે આપણે વિમલવસહિના બીજા મંદિરોમાં ક્રમશઃ વંદન કરીએ.
    અહીં બંને બાજુએ મંદિરોની શ્રેણી છે.
    તેમાં પહેલાં ડાબી બાજુની શ્રેણીનાં મંદિરોને ક્રમશઃ વંદન કરીએ.
  43. નેમિનાથની ચોરીના મંદિરમાં ૧૭૦ જિનપટે નમો જિણાણં
    પછી પુણ્ય-પાપની બારી આવે છે. પછી
  44. શ્રી વિમલનાથના મંદિરે નમો જિણાણં
  45. શ્રી અજિતનાથના મંદિરે નમો જિણાણં
  46. શ્રી શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
  47. શ્રી આરસના મંદિરે નમો જિણાણં
  48. શ્રી ધર્મનાથના મંદિરે નમો જિણાણં
  49. શ્રી ચંદ્રપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
  50. શ્રી પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
  51. શ્રી જગતશેઠના મંદિરે નમો જિણાણં
  52. શ્રી શાંતિનાથના મંદિરે નમો જિણાણં
  53. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
  54. શ્રી કુમારપાળના મંદિરે નમો જિણાણં
    હવે આપણે વિમલવસહિના જમણી બાજુના મંદિરે વંદન કરીએ.
  55. પંચ તીર્થીના મંદિરે (નરશી કેશવજી નિર્મિત)
  56. શ્રી પુંડરીકસ્વામીના મંદિરે નમો જિણાણં
  57. શ્રી પદ્મપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
  58. શ્રી કવડયક્ષના મંદિરે પ્રણામ.
  59. શ્રી મહાવીરસ્વામીના મંદિરે નમો જિણાણં
  60. શ્રી અમીઝરાપાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
  61. શ્રી ચંદ્રપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
  62. શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
  63. શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
  64. શ્રી પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
  65. શ્રી ચંદ્રપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
  66. શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
  67. શ્રી અજિતનાથના મંદિરે નમો જિણાણં
  68. શ્રી પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
  69. શ્રી આદિનાથના મંદિરે નમો જિણાણં
  70. શ્રી ધર્મનાથના મંદિરે નમો જિણાણં
  71. શ્રી મહાવીર સ્વામીના મંદિરે નમો જિણાણં
  72. શ્રી ચૌમુખજીના મંદિરે નમો જિણાણં .(આમાં સો થાંભલા છે.)
  73. શ્રી પદ્મપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
  74. શ્રી ધનેશ્વરસૂરિના મંદિરે મત્થએણ વદામિ.
  75. શ્રી શ્રેયાંસનાથના મંદિરે નમો જિણાણં
  76. શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
  77. શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
  78. શ્રી ઋષભદેવના મંદિરે નમો જિણાણં

હવે હાથીપોળમાં આવ્યા પછી આપણે રતનપોળમાં આવ્યા.

રતનપોળમાં પેસતાં જ સામે શ્રી આદિનાથ દાદાનોદરબાર દેખાય છે.

હવે આપણે શ્રી આદિનાથ દાદાને નમો જિણાણં કહીને ત્રણ પ્રદિક્ષણા આપીએ

પ્રદિક્ષણામાં આવતાં મંદિરોને વંદના કરતા જઈશું.

પહેલી પ્રદિક્ષણા

  1. સહસ્ત્રકૂટના મંદિરે નમો જિણાણં
  2. મૂળ મંદિરના બહારના ગોખલાઓમાં નમો જિણાણં
  3. રાયણપગલાં વગેરે ચરણપાદુકાએ નમો જિણાણં
  4. ૧૪૫૨ ગણધર ભગવંતના પગલાના મંદિરે,તીર્થંકરોના અને
    ગણધરોના ચરણપાદુકાએ નમો જિણાણં
  5. શ્રીસીમંધરસ્વામીના મંદિરે નમો જિણાણં
  6. શ્રી આત્મારામજી મહારાજ(શ્રી વિજયાનંદસુરીશ્વરજી)ની મૂર્તિને મત્થએણ વંદામિ.
    (મંદિરની બહાર જમણી બાજુ આરસના ગોખલામાં બિરાજમાન આ મૂર્તિ પંચધાતુની બનેલી છે.)

બીજી પ્રદિક્ષણા

  1. નવા આદીશ્વરના મંદિરે નમો જિણાણં
  2. ત્યાં દેરીઓમાં આવેલાં ચરણપાદુકાએ નમો જિણાણં
  3. ત્યાં આશાધરની અને સમરાશાની સજોડે મૂર્તિઓને પ્રણામ.
  4. સમવસરણના મંદિરે નમો જિણાણં
  5. સમેતશિખરના મંદિરે નમો જિણાણં
  6. શ્રી સીમંધરસ્વામીના મંદિરની ઉપર શ્રી ચૌમુખજીના મંદિરે નમો જિણાણં
  7. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથને નમો જિણાણં

ત્રીજી પ્રદિક્ષણા

  1. પાંચ ભાઈઓ દ્વારા નિર્મિત મંદિરે નમો જિણાણં
  2. પુંડરીકસ્વામી મંદિરની બાજુની ભીંતે આવેલા મંદિરે નમો જિણાણં
  3. બજરીયાના મંદિરે નમો જિણાણં
  4. વિહરમાન જિનમંદિરે નમો જિણાણં
  5. અષ્ટાપદમંદિરે નમો જિણાણં અને ગુરુમૂર્તિને મત્થએણ વંદામિ.
  6. નમિ- વિનમિ ભારત-બાહુબલીની મૂર્તિને નમો જિણાણં
  7. વિજયશેઠ-વિજયા શેઠાણીની મૂર્તિને પ્રણામ.
  8. ચૌદરતનના મંદિરે નમો જિણાણં
  9. નવી ટૂંકમાંની પ્રતિમાઓને નમો જિણાણં
  10. બહાર આવી આગળ જતા ગોખલામાં તીર્થંકરની ૨૪ માતાને પ્રણામ.
  11. ગંધારિયાના દહેરાસરે નમો જિણાણં
  12. પુંડરિક સ્વામીના મંદિરે નમો જિણાણં

અહીં ત્રણ પ્રદિક્ષણા પૂર્ણ થઇ. હવે આપણે ક્રમશ: રાયણ પગલા, શ્રી

પુંડરિકસ્વામી અને શ્રી આદિનાથ સમક્ષ ચૈત્યવંદન કરીએ.

નવ ટૂંકો

શ્રી શત્રુંજયના પર્વતનું બીજું શિખર ટૂકોના સંખ્યાબંધ જિનમંદિરોથી સુશોભિત બન્યું અને કુંતાસરની ઉંડી ખાઈનું પુરાણ કરીને એના ઉપર શ્રી મોતીશા શેઠની વિશાળ નવી ટૂંકની રચના થઈ. આમ નવ ટૂંકો અસ્તિત્વમાં આવી. મોગલકાળનો સમય જોકે ધ્વંસ અને વિધ્વંસનો આવ્યો પણ આ ત્રણસો-ચારસો વર્ષનો સમય શ્રી શત્રુંજ્ય તીર્થને માંટે વધુ ને વધુ વિકાસના પ્રસંગો પણ લઈને જ આવ્યો હતો. આ વાતની પ્રતીતિ નવ ટૂંકોની સ્થાપનાનો સમયગાળો કરાવે છે. શ્રી શત્રુંજ્ય પહાડના બીજા શિખર ઉપર સૌથી પહેલાં વિ.સં. 1675ની સાલમાં ખરતરવસહી નામે સવા સોમાની ટૂંકના ગગનચૂંબી ચતુર્મુખ જિનપ્રસાદની રચના થઈ હતી, જે ટૂંકોની યાત્રાના ક્રમમાં બીજી ટૂંક ગણાય છે, અને સૌથી છેલ્લે, વિ.સં. 1921ની સાલમાં (સવા સોમાંની ટૂંક પછી 246 વર્ષે) શેઠ નરશી કેશવજી નાયકની ટૂંકની સ્થાપના થઈ હતી. ટૂંકોની યાત્રાના ક્રમ પ્રમાણે આ ટૂંક પહેલી આવે છે.

9 ટૂંકની વિગત

  1. ખરતરવસહી-સવા-સોમાની (ચૌમુખજીની) ટૂંક, (બીજી ટૂંક) વિ.સં.1675-ઈ.સન્ 1619
  2. છીપાવસહીની ટૂંક, વિ.સં. 1794 (ત્રીજી ટૂંક) ઈ.સન્ 1738
  3. પ્રેમવસહી-પ્રેમચંદ મોદીની ટૂંક, 1843 (સાતમી ટૂંક) ઈ.સન્ 1787
  4. હેમવસહી-હેમાભાઈ શેઠની ટૂંક, વિ.સં. 1886 (છઠ્ઠી ટૂંક) ઈ.સન્ 1830
  5. ઉજમફઈની ટૂંક, વિ.સં. 1889 (પાંચમી ટૂંક) ઈ.સન્ 1833
  6. સાકરવસહી-સાકરચંદ પ્રેમચંદની ટૂંક, વિ.સં. 1893 (ચોથી ટૂંક) ઈ.સન્ 1837
  7. બાલાવસહી-બાલાભાઈની ટૂંક, વિ.સં. 1893 (આઠમી ટૂંક) ઈ.સન્ 1837
  8. મોતીશાની ટૂંક, વિ.સં. 1893 (નવમી ટૂંક) ઈ.સન્ 1837
  9. નરશી કેશવજીની ટૂંક, વિ.સં. 1921 (પહેલી ટૂંક) ઈ.સન્ 1865

હવે નવે ટૂંકોની વાત માંડીને કરીએ.

હનુમાન દ્વારને રસ્તે જતા પહેલા ચૌમુખજીની ટૂંક આવે છે જયાં કચ્છના શેઠ નરશી કેશવજીનાં સ્મરણાર્થે બંધાવેલ કુંડ દ્રષ્ટિગોચર થાય છે.

૧. કેશવજી નાયક ટૂંક

ખરતરવસહીમાં પ્રવેશતા જમણી બાજુ નરશી કેશવજીએ વિ.સં. 1921 (ઇ.સ.1865)માં બંધાવેલ મંદિર આવે છે. તે પછી અભિનંદન સ્વામીનું માંળ–મજલાવાળુ મંદિર આવે છે.

આ ટૂંકમાં પ્રવેશતા શાંતિનાથ ભગવાન અને મરુદેવી માતાના પ્રાચીન સ્થાનો પણ આવે છે. શાંતિનાથ ભગવાનનું વર્તમાન મંદિર તો ચૌદમાં શતકનું છે અને મરુદેવીનુ મંદિર પણ વર્તમાન સ્વરૂપે પાછલા કાળનું છે પણ બંને સ્થળોનો ઉલ્લેખ સોલંકી કાલીન સાહિત્યમાં મળતો હોઇ એ મંદિર અસલમાં વિશેષ પ્રાચીન હોવા જોઇએ.

ત્યારબાદ આ ટૂંકમાં પ્રમાણમાં આઘુનિક એવા મંદિરો છે, જેમાં શેઠ નરશી નાથાનું વિ.સં. 1893(ઇસવીસન 1837)માં બંધાવેલ ચંદ્રપ્રભુનુ મંદિર, શેઠ દેવશી પુનશી સામતનુ ચોવીસીવાળુ ઘર્મનાથનું મંદિર, ત્યારબાદ કુંથુનાથ, અજિતનાથ ને ચંદ્રપ્રભના નાના મંદિર, તે પછી મુર્શિદાબાદના બાબુ ઈંદ્રચંદ નહાલચંદનુ મંદિર.

વિ.સં. 1891(ઇસવીસન 1835)માં કરાવેલ આદીશ્વરદેવનું મંદિર, તે પછી ચૌમુખજીનું દેવાલય અને નજીકમાં મુર્શિદાબાદવાળા બાબુ હરખચંદ ગુલેચ્છાનુ વિ.સં. 1895(ઇસવીસન 1839)માં કરાવેલ સુમતિનાથનું મંદિર, બાબુ પ્રતાપસિંહ દુગ્ગડનુ વિ.સં. 1891(ઇ.સન 1835)માં બનાવેલુ સંભવનાથનું મંદિર અને બાજુમાં આદિશ્વરદેવનુ મંદિર છે.

૨. સવા સોમાની(ખરતરવસહી) ચૌમુખજીની ટૂંક

અહીંથી આગળ ચૌમુખજીની ટૂંકમાં પ્રવેશતા આદિશ્વરદેવ ભગવાનનું ઉત્તંગ ચતુર્મુખ મંદિર નજરે પડે છે. જેને અમદાવાદના ખતરગચ્છ શિવજી સોમજીએ વિ.સં. 1675(ઇસવીસન્ 1619)માં બંધાવેલું (ચિત્ર 8) પોતાની ઊંચાઈ અને આયોજનની રમણીયતાથી અનોખી ભાત પાડતા આ મંદિરની ગણતરી સત્તરમાં સૈકાના ઉત્તમ દેવભવનોમાં થાય છે. આ દેરાસરની છત તથા દિવાલો ઉપર અતિ સુંદર ચિત્રકામ કરવામાં આવેલ છે જે ખરેખર અદભૂત છે. વિ.સં. 1695(ઇસવીસન 1639)માં પ્રસ્તુત શ્રેષ્ઠીઓએ કરાવેલ પુંડરિક સ્વામીનુ મંદિર તે જ સાલમાં બનેલ ખીમજી સોમજીનુ પાર્શ્વનાથનુ મંદિર, તે પછી અમદાવાદના શેઠ કરમચંદ હીરાચંદજી વિ.સં. 1784(ઇ.સન 1728)માં કરાવેલ સીમંધરસ્વામીનુ મંદિર, ને શેઠ સુંદરદાસ રતનજીએ કરાવેલ બે શાંતિનાથના મંદિરો છે. તેની બાજુમાં જ અમદાવાદના ભણશાલી કમળશી સેનનુ બંધાવેલ અજિતનાથનુ મંદિર છે. મુખ્ય ચતુર્મુખ મંદિરની ફરતે આ બઘા મંદિરોની ગોઠવણી સામંજસ્યના સિદ્ધાંત પર થયેલી હોવાથી આખુય આયોજન સમતોલ જણાય છે.

આ ટૂંકનાં મુખ્ય જિનાલયનું શિખર આશરે 15 કિમી દુરથી દ્રશ્યમાન થાય છે.

૩. છીપાવસહી ટૂંક

ખરતરવસહી ટૂંકની બાજુમાં ડુંગરાવનાં ઢોળાવ પર છીપાવસહી ટૂંક આવેલી છે. તેમાં ચાર પ્રાચીન અને ત્રણ પ્રમાણમાં અર્વાચીન મંદિરો છે. તેમાં છીપાવસહી નામનું પૂર્વાભિમૂખ મંદિર મુખ્ય છે. તેની વિ.સં. 1791(ઇ.સ. 1735)માં ભાવસારોએ પુન:પ્રતિષ્ઠા કરાવી છે પણ તે મૂળ ચૌદમી સદીમાં બનેલુ છે અને ત્યારે પણ તે છીપાવસહી તરીકે ઓળખાતુ હતું, તેમ જૂની તીર્થમાળાઓ પરથી જાણવા મળે છે. છીપાવસહી એ શત્રુંજય પરના ઉત્તમ મંદિર પૈકીનુ એક છે. આ જિનાલયમાં પ્રાચીન અદ્ભુત ચિત્રકામ જોવા લાયક છે. છીપાવસહી પાછળ રહેલું મંદિર મોટે ભાગે તો સંઘવી પેથડના સમયનું હશે. ચૈત્યપરિપાટીઓમાં તેનો ટોટરા વિહાર તરીકે પરિચય આપ્‍યો છે, જયારે ગઢની રાંગને અડીને આવેલુ શ્રેયાંસનાથનુ મંદિર ખરતરગચ્છીય શ્રાવકોએ વિ.સં. 1377(ઇ.સન 1321)માં ફરીને બનાવ્યુ છે, અને મઘ્યકાળમાં તે મોલ્હાવસહી નામે ઓળખાતું હતું. શ્રેયાંસનાથનું આ મંદિર પહેલા પણ ત્યાં હતું.

૪. સાકરવસહીની ટૂંક

શ્રેયાસનાથનાં મંદિરની પાછળના ભાગમાં આવેલ કોટની અંદર સાકરવસહીની ટૂંક છે, જે અમદાવાદનાં શેઠ સાકરચંદ પ્રેમચંદે વિ.સં. 1893(ઇ.સ. 1837)માં બંઘાવી છે. અહીં મુખ્ય મંદિર ચિંતામણી પાર્શ્વનાથનું છે, તેની સામે પુંડરિકસ્વામીનું દેરાસર છે. બાજુમાં શેઠ લલ્લુભાઇ જમનાદાસનુ પદ્મપ્રભસ્વામીનું વિ.સં. 1893(ઇસવીસન્-1837)નું તેમજ શેઠ મગનલાલ કરમચંદનુ પણ એ જ મિતિનું પદ્મપ્રભનું મંદિર આવેલુ છે.

પ્રસ્તુત ટૂંકની પાછળ પાંચ પાંડવોનું કહેવાતુ મંદિર છે. શાહ દલીચંદ કીકાભાઇએ તેમાં વિ.સં. 1421(ઇસવીસન્-1365)માં પાચ પાંડવોની પ્રતિષ્ઠા કરાવેલી છે. હકીકતમાં આ મંદિર માંડવગઢનાં મંત્રી પીથડ-પેથડશાહનું કરાવેલુ છે. મૂળે તેમાં આદિનાથ પ્રતિષ્ઠિત હતા. મંદિરના મંડોવર પર અને શિખરમાં કોતરણી છે, મંદિર દક્ષિણાભિમુખ છે. આ મંદિરની પાછળ અને ચૌમુખ ટૂંકમાં જેનુ બારુ પડે છે, તે સહસ્ત્રકૂટનુ મંદિર સુરતનાં મૂળચંદ મયાભાઇ બાવચંદે વિ.સં. 1860(ઇ.સ. 1804)માં બંધાવેલું છે.

૫. ઉજમફઇની ટૂંક

આગળ વઘતા ઉજમફઇની ટૂંક આવે છે. અમદાવાદનાં નગરશેઠ પ્રેમાભાઇનાં ફઇ ઉજમફઇએ ત્‍યાં નંદીશ્વરદ્વીપની મનોહર રચના કરાવી છે. તેના પ્રવેશમાં લાલિત્યયુક્ત સ્તંભાવલી છે અને મૂળ ચૈત્યની ભીતમાં સુંદર કોતરણીવાળી જાળીઓ ભરી છે. આ સ્થળેથી આદીશ્વરની ટૂંકનુ ભવ્ય દર્શન થાય છે.

૬. હીમાવસહીની ટૂંક

આગળ વઘતા હીમાવસહી આવે છે. અમદાવાદ નિવાસી અકબરમાન્ય શેઠ શાંતિદાસના વંશજ નગરશેઠ હીમાભાઇ વખતચંદે વિ.સં. 1886(ઇસવીસન્ 1830)માં આ મંદિર બંઘાવી પ્રતિષ્ઠા કરાવેલ.

આ સમૂહમાં મુખ્‍ય મંદિર અજિતનાથનું છે સાથે પુંડરીક સ્વામીનુ મંદિર પણ છે, અને ચૌમુખજી પણ છે. જ્યારે બીજા ચૌમુખ મંદિર શેઠ સાકરચંદ પ્રેમચંદે વિ.સં. 1888(ઇ.સન 1832)માં બઘાવ્યુ છે. ટૂંકની બહાર જીજીબાઇના નામથી ઓળખાતો કુંડ છે.

૭. પ્રેમાવસહીની ટૂંક

નીચે ઉતરતા પ્રેમાવસહીની ટૂંક આવે છે. અમદાવાદના શેઠ પ્રેમચંદ લવજી મોદીએ તે વિ.સં. 1843(ઇસવીસન્ 1787)માં સ્થાપી છે. ટૂંકનુ આદિનાથનુ મુખ્ય મંદિર તેમજ પુંડરીકસ્વામીનુ મંદિર તેમનુ કરાવેલ છે: જ્યારે આરસનું સહસ્ત્રફણા પાર્શ્વનાથનુ દેરાસર સુરતના શેઠ રતનચંદ ઝવેરચંદ ધુસનુ કરાવેલ છે.

આ મંદિરની સામે આરસનું બીજુ સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર પ્રેમચંદ ઝવેરચંદ ધુસએ બંધાવેલ છે. આ ટૂંકમાં પાલનપુરના મોદી શેઠનું અજિતનાથનુ મંદિર, મહુવાના નીમાં શ્રાવકોનુ ચંદ્રપ્રભનુ મંદિર તથા રાઘનપુરના શેઠ લાલચંદે બંધાવેલ ચંદ્રપ્રભનુ બીજુ મંદિર પણ છે. કોટ બહાર કુંડ અને ખોડીયાર માતાનું સ્થાનક છે.

મોદીની ટૂંકથી નીચે પોણોસો જેટલા પગથીયા ઉતરતા ખડક પર કંડારેલ અદ્દભુત આદિનાથની બાર હાથ ઊંચી મૂર્તિ આવે છે, આની ઊંચાઈ 18 ફૂટ અને પહોળાઈ 14.6 ફૂટ છે. આની પુન:પ્રતિષ્ઠા વિ.સં. 1686(ઇ.સ. 1630)માં ઘરમદાસ શેઠે કરાવી છે. આ પ્રતિમાનો જિનપ્રભસૂરિએ પાંડવકારિત આદિનાથ તરીકે અને ચૈત્યપરિપાટીકારોએ ‘સ્વયંભુ આદિનાથ’ ‘અદભુત આદિનાથ’ વગેરે શબ્દોથી ઉલ્લેખ કરેલો હોઇ, તે પ્રાચીન છે. આ ભગવાન શ્રી અદબદજી ભગવાન તરીકે પણ જાણીતા છે.

૮. બાલાવસહીની ટૂંક

અહીંથી નીચે જતા ઘોઘાના શેઠ દીપચંદ કલ્યાણજી ઉર્ફે બાલાભાઇ એ કરાવેલ બાલાવસહીનો મંદિર-સમૂહ આવે છે તેમાં બાલાભાઇ શેઠે વિ.સં. 1893(ઇ.સ. 1837)માં કરાવેલ આદિનાથ તથા પુંડરીકસ્વામીના મંદિરો, પછી મુંબઈવાળા ફતેહચંદ ખુશાલચંદના ઘર્મપત્ની ઉજમબાઇ એ વિ.સં. 1908(ઇ.સ.1852)માં કરાવેલ ચૌમુખજીનું મંદિર, કપડવંજના મીઠાભાઇ ગુલાબચંદે વિ.સં.1916(ઇ.સ.1860)માં બંધાવેલ વાસુપુજ્યના મંદિર સિવાય ઇલોરવાળા માંનચંદ વીરચંદ અને પુનાના શાહ લખમીચંદ હીરાચંદે પણ તેમાં મંદિરો કરાવેલ છે.

૯. શેઠ મોતીશાની ટૂંક

શત્રુંજયના બે શિખર વચ્ચાળેના ગાળામાં અગાઉ નિર્દેશિત મોતીશા શેઠની ટૂંક આવેલ છે, તેની પ્રતિષ્ઠા મોતીશા શેઠના પુત્ર ખીમચંદભાઇ એ વિ.સં. 1893(ઇ.સ.1837)માં કરાવેલ, આમાં મુખ્‍ય મંદિર તથા પુંડરીકસ્વામીનુ મંદિર મોતીશા શેઠનુ છે: જ્યારે પહેલું ઘર્મનાથનુ અમદાવાદના શેઠ હઠીસિંગનુ અને બીજુ અમરચંદ દમણીનુ છે. તે ઉપરાંત ત્યાં ચોકમાં બે સામ-સામાં ચૌમુખ મંદિરો છે: જેમાં પહેલું મોતીશા શેઠના મામા પ્રતાપમલ્લ જોઇતાએ અને બીજુ ઘોલેરાવાળા શેઠ વીરચંદ ભાઇચંદે કરાવ્યુ છે. આ સિવાય પણ અહી બીજા નવ મંદિરો છે, જેની વિગત નીચે મુજબ છે :

1 ચૌમુખજીનું મંદિર માંગરોળવાળા નાનજી ચીનાઇ

2 આદિશ્વરનું મંદિર અમદાવાદવાળા ગલાલભાઇ

3 પદ્મપ્રભનું મંદિર પાટણના શેઠ પ્રેમજી રંગજી

4 પાર્શ્વનાથનું મંદિર સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદ

5 સહસ્ત્રકૂટનું મંદિર મુંબઇવાળા શેઠ જેઠાશા નવલશા

6 સંભવનાથનું મંદિર શેઠ કરમચંદ પ્રેમચંદ

7 સુપાર્શ્વનાથનું મંદિર ખંભાતવાળા પારેખ સ્વરૂપચંદ હેમચંદ

8 મહાવીરસ્વામીનું મંદિર પાટણવાળા શેઠ જેચંદ પારેખ

9 ગણઘર ચરણપાદુકાનું મંદિર સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદ
આ ટૂંકની બહાર વાપી-કુંડ છે. કુંડને છેડે કુંતાસરદેવીની મૂર્તિ છે .

શત્રુંજયની સાથે નવનો આંકડો અનેક રીતે જોડાયેલો છે, જેમાં આ નવ ટૂંક પણ શત્રુંજય ની યશકલગીમાં ઉમેરો કરે છે.

ઘેટીપાગ યાત્રા પરિચય

એક દિવસમાં બે યાત્રા કરનારા મહાનુભાવો બીજી યાત્રા ઘેટી પાગથી કરે છે. બીજી યાત્રા કરનારા યાત્રાળુઓ એક યાત્રા કર્યા પછી સગાળપોળથી બહાર નીકળીને કુંતાસર ચોકમાં આવે છે. ત્યાંથી ડાબી બાજુના રસ્તે ઘેટી પાગ તરફ જાય છે. થોડા આગળ જતા કુંતાસરની બારી (અથવા ઘેટીની બારી) આવે છે.

તેમાંથી બહાર નીકળીને નીચે ઉતરતાં લગભગ અર્ઘા રસ્તે ડાબી બાજુ એક દેરી અને પરબ આવે છે. ત્યાંથી ઘણું ઉતર્યા પછી ઘેટી પાગની દેરી આવે છે.

શ્રી આદીશ્વર ભગવાન પૂર્વ નવાણું વાર ગિરિરાજ ઉપર અહીંથી ચઢ્યાં હતાં. મહામંત્રી ઉદયનના પુત્ર મંત્રી આંબડ વિ.સં. 1213માં શત્રુંજયનો જીર્ણોદ્વાર કરાવ્યો ત્યારે આ પાગનું નિર્માણ કરાવ્યું હતું. તેમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. અહીં બીજી યાત્રાનું પહેલું ચૈત્યવંદન કરવાનું હોય છે.

ઘેટી પગલાની આજુબાજુમાં શ્રી સિદ્ઘાચલ શણગાર ટૂંક વગેરે અનેક મંદિરો છે.

સિદ્ઘાચલ શણગારના મંદિરના ભોંયરામાં 2200 વર્ષ પ્રાચીન શ્રી આદીશ્વર ભગવાનની મનોહર પ્રતિમા છે. ત્યાં બઘાં દેરાસરોના દર્શન કરીને પાછા ગિરિરાજ ઉપર ચઢવાનું હોય છે. ઉપર ચઢીને દાદાની ટૂંકમાં ફરીથી પહેલાંની જેમ શ્રી શાંતિનાથજી આદિની સમક્ષ ચાર ચૈત્યવંદન કરવાનાં હોય છે. પછી નીચે ઉતરતાં બે યાત્રા પૂર્ણ થાય છે.

સૂચના- ઘેટીપાગની નીચે આદપુર ગામ છે ત્યાં એક મંદિર છે. તેમાં નવાણું ઇંચની શ્રી આદીનાથની મોટી પ્રતિમા છે. શક્ય હોય તો ત્યાં અવશ્ય દર્શન કરવા જોઇએ.

શ્રી ગિરિરાજની 3 પ્રદક્ષિણાઓ

ગિરિરાજની દોઢ ગાઉ, છ ગાઉ તથા બાર ગાઉ એમ પ્રદક્ષિણા(પરિક્રમા) ફેરી કરી શકાય છે. બાર ગાઉની પ્રદક્ષિણા હાલમાં બંધ જેવી છે.

દોઢ ગાઉની પ્રદક્ષિણા

દાદાના દર્શન કરી રામપોળની બારીથી નીકળતા જમણી બાજુ બહારના ભાગમાં સોખરી નામની ટેકરી પાસેના રસ્‍તે થઇ ઘેટી પાગ જવાનો રસ્‍તો ઓળંગી ને હનુમાન ઘાર નજીક એક તલાવડી છે ત્યાંથી ચૌમુખજીની ટૂંક તરફ ચૈત્યવંદન કરી હનુમાન ઘાર પાસેથી રામપોળના દરવાજેથી ગઢમાં દાખલ થઇ દાદાનાં દર્શન કરવાથી દોઢ ગાઉની પ્રદક્ષિણા પૂરી થાય છે.

છ ગાઉની પ્રદક્ષિણા

(આ છ ગાઉનો રસ્‍તો ખૂબજ ઊંચો-નીચો ને લાંબો હોવાથી સંભાળીને ચાલવુ પડે છે નહિંતર લપસી જવાય છે. ફા.સુ.-13 ના દિવસે ચતુર્વિધ સંઘ વિશાળ સંખ્‍યામાં છ ગાઉની યાત્રા કરે છે.)

જય તળેટીથી શરૂઆત કરીએ તો રામપોળ સુધી પહોચતા 3303 પગથિયા ચઢવાના હોય છે. જ્યારે રામપોળથી દાદાના દેરાસર સુધી બીજા 198 પગથિયા છે. કુલે 3501 પગથિયા ચઢીને દાદાના દર્શન થાય છે.

દાદાના દર્શન અને ચૈત્યવંદન કરીને રામપોળની બારીથી નીકળતા આપણી જમણી બાજુએ સોખરી નામની ટેકરી છે, તેના ઉપર દેવકીજીના છ પુત્રોની દેરી છે.

ત્યાં દર્શન કરીને આગળ ચાલતા અર્ઘો ગાઉ ગયા પછી ઉલખાજલ નામનું સ્થાન આવે છે. અહી દાદાના સ્નાત્ર-પ્રક્ષાલનુ જલ આવે છે. અહી ડાબી બાજુ એક નાની દેરીમા શ્રી આદિનાથ ભગવાનના ચરણપાદુકા છે, ત્યાં દર્શન–ચૈત્યવંદન કરીને આગળ જતા પોણો ગાઉ પછી ચિલ્‍લણ તલાવડી(ચંદન તલાવડી) આવે છે. અહીં શ્રી અજિતનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનના ચરણપાદુકાની દેરી છે.

આ બે દેરી પાસે અત્યંત મહિમાવાળી ચિલ્લણ(ચંદન) તલાવડી, તથા કાઉસ્સગ્ગ કરવા માટેની સિદ્ઘશિલા છે. પછી આગળ બે માઇલ જતા ભાડવાનો ડુંગર આવે છે, આ શિખર ઉપર એક દેરીમાં શ્રી આદીશ્વરના ચરણપાદુકાની જોડ તથા શાંબ અને પ્રદ્યુમ્‍નના બે ચરણપાદુકાની જોડ, એમ ચરણપાદુકાની ત્રણ જોડ પ્રતિષ્ઠિત કરેલ છે. ત્યાં ચૈત્યવંદન કરીને એક માઇલ નીચે ઉતરતા સિઘ્ઘવડ(નાની જુની તળેટી) છે.

અહીં વડ નીચે દેરીમા શ્રી આદિનાથ પ્રભુના ચરણપાદુકા છે ત્યા ચૈત્યવંદન કરવું. અહીં છ ગાઉની પ્રદક્ષિણા પુરી થાય છે. અત્યાર સુઘી તો નજીકમાં રહેલા આદપુર ગામની બહાર ખેતરોમાં યાત્રાળુઓની ભકિત કરવા માટે જગ્યા ભાડે લઇને મંડપો બાંઘતા હતા. હવે તો જ્યાં છ ગાઉની યાત્રા પૂરી થાય છે ત્યાંની વિશાળ જગ્યામાં ફાગણ સુદ 13 ના દિવસે પેઢીના હસ્તક જુદા-જુદા ગામના સંઘો અને ભાવિક ભક્તો યાત્રાળુઓની ભક્તિ કરવા માટે પાલ તરીકે ઓળખાતા મંડપ બંઘાવીને તેમાં જાત-જાતની વસ્તુઓ દ્વારા યાત્રિક ભાઇ-બહેનોની સાઘાર્મિકોની ભક્તિ કરે છે.

બાર ગાઉની પદક્ષિણા

શેત્રુંજી નદીનો બંઘ બંઘાઇ ગયેલો હોવાથી હવે ચોક ગામનો રસ્તો બંધ થઇ ગયો છે, આથી હવે બાર ગાઉની યાત્રા કરવાની ભાવનાવાળાએ તે યાત્રા ટુકડે-ટુકડે કરવી પડે છે.

ભાવિક યાત્રાળુ આત્માઓ પાલિતાણામાં દાદાની યાત્રા કરી પાલિતાણાથી નીકળીને ડેમ જાય છે. ત્યાં યાત્રા-દર્શન કરીને કદંબગિરિ જાય છે, ત્યા નીચે અને ઉપર જિનમંદિરમાં દર્શન પૂજા કરીને પાછા પાલિતાણા આવે છે. પછી અહીંથી હસ્તગિરિ ઉપર જૂના ચરણપાદુકા અને નૂતન જિનમંદિરના દર્શન પૂજન કરીને પાછા આવતા પાછળના રસ્તે ઘેટી ગામ આવે છે. ત્યા દર્શન વગેરે કરીને પાલિતાણા આવે છે. આ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજની પ્રદક્ષિણારૂપ બાર ગાઉની યાત્રા થાય છે.

ઉપર્યુક્ત ત્રણે યાત્રાઓમાં દાદાની ટૂંકને કેન્દ્રમા રાખી ને પ્રદક્ષિણા કરવાની હોય છે.

શત્રુંજય ગિરિરાજ મહાતીર્થના યાત્રિકોની ભાતા-ભક્તિ

યાત્રા કરીને નીચે ઉતરતા થાકયા-પાક્યા યાત્રાળુ જેવા તળેટીએ પહોંચે છે. ત્યાંજ તેમના માટે અલ્પાહાર જે ભાતાના નામથી ઓળખવામાં આવે છે, એ ભક્તિપૂર્વક બઘા યાત્રિકોને આપવામાં આવે છે. આ ઉપરાંત ચા-ઉકાળો તથા સાકરના પાણીની ભક્તિ પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે દરેક નાના-મોટા જૈન તીર્થોમાં ભાતાની વ્યવસ્થા હોય છે. પાલીતાણાના ભાતાખાતાનો પણ મજાનો ઇતિહાસ છે.

આ તીર્થની યાત્રા કરીને આવતા થાક્યા-પાક્યા યાત્રાળુ ભાઇ-બહેનોને જોઇને કરુણાથી પ્રેરાઇને પૂજ્ય પન્યાસ-મુનિશ્રી કલ્યાણવિમલજી ગણીના ઉપદેશ અને પ્રેરણાથી કલકત્તાના રાવબહાદુર બાબુ શેઠ સિતાબચંદજી ગુલાબચંદજી નહાર (કલકત્તા)એ પોતાના દાદા બાબુ ઉત્તમચંદજી નહારની સ્મૃતિમાં વિ.સં. 1880, માગસર સુદ 13થી ભાતું આપવાનો પ્રારંભ કરેલ. શરુઆતમાં તો ચણા-મમરા આપીને ભક્તિ કરાતી હતી. વચલા વરસોમાં ઢેબરા પણ અપાતા હતા. ભાથા તળેટીના મંડપની આગળ સતીવાવ છે. આ વાવ શાંતિદાસ શેઠના ભાઇ સૂરદાસના પુત્ર લક્ષ્મીદાસે યાત્રાળુને પાણીની સગવડતા રહે એ માટે વિ.સં. 1657માં બંઘાવી હતી. આ વાવથી થોડેક દૂર શાંતિદાસ શેઠે બંધાવેલ એક દેરી છે, જેમાં શ્રી ગોડીપાર્શ્વનાથના ચરણપાદુકા છે.

સતીની વાવ પાસેના વડલા હેઠળ બેસીને યાત્રાળુઓ ભાતું વાપરતા હતા. વાવાઝોડામાં એ વડલો પડી જવાથી વિ.સં. 1970માં શેઠ શ્રી લાલભાઇ દલપતભાઈનાં માતુશ્રી પૂજ્ય ગંગાબાએ ભાતાઘર માટે ઓરડા બંધાવી આપ્યા. વિ.સં 2026માં એ જગ્યાએ સુંદર અને આધુનિક સગવડતાપૂર્ણ ભાતાભવનનું નિર્માણ કરવામાં આવ્યું. હવે તો યાત્રિકો માટે ભક્તિરૂપ ભાતાની વ્યવસ્થા પણ આધુનિક સગવડતા સાથે નવા ભાતાભવનમાં કરવામાં આવે છે. બુંદી, મૈસુર, સેવ, ચા, ઉકાળો તથા સાકરનું પાણી વગેરે આપવા દ્વારા ભક્તિ કરવામાં આવે છે. તપસ્વીઓ માટે ઉકાળેલા પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. આ બધા માટે વખતો વખત સગવડતાઓ ઉમેરાય છે.

વિક્રમ સંવત-2026માં પેઢીએ ભાતાખાતાના ભવનનું નવિનીકરણ કર્યું તથા સગવડતાઓ વધારી કર્યુ. વિક્રમસંવત 2002માં ભાતાખાતાને માતબર રકમનું દાન આપીને સહયોગી બનનાર શેઠશ્રી નરોત્તમદાસ કેશવલાલ શાહ(લટ્ઠા) પરિવારના સુકૃત અનુમોદનાની કાયમી સ્મૃતિ રૂપે ભાતાખાતા સાથે શ્રી જનકભાઇ નરોત્તમદાસ શાહ (લટ્ઠા)નું નામ જોડીને ભાતાખાતાનું નવીન નામકરણ કરવામાં આવ્યું તથા શ્રી જનકભાઇની અર્ધ પ્રતિમા ભાતાભવનમાં મૂકવામાં આવી.

ભાતા દ્વારા યાત્રિકોની ભક્તિ કરવા માટે ઘણા ભાઈ બહેનો લાભ લેવા તત્પર રહે છે. જેના માટે આવેલી અરજીઓનો નિશ્ચિત સમયના અંતરે ડ્રો કરીને વિવિધ મહાનૂભાવોને લાભ આપવામાં આવે છે.

આ ભાતાખાતું જેમની સ્મૃતિમાં પ્રારંભાયો એ શ્રી બાબૂ ઉતમચંદજી નાહરના ઘર્મપત્ની શ્રી મયાકુંવરે વિ.સં. 1913ના જેઠ વદિ 11 ના દિવસે ગિરિરાજ શત્રુંજય ઉપર, દાદાના જિનપ્રાસાદના ઉપરના મજલે, જિનપ્રતિમા પઘરાવીને પ્રતિષ્ઠા કરાવી હતી. આ અંગેનો પ્રતિષ્ઠાનો લેખ સ્વ.બાબુ પુરણચંદજી નાહરના “જૈન લેખ સંગ્રહ”ના પહેલા ભાગમાં છપાયેલ છે.

શત્રુંજય ગિરિરાજ ઉપર ઉજવાતા મહત્વના દિવસો

કાર્તિકી પૂર્ણિમા-

કારતક સુદ 15 આ દિવસે ચાતુર્માસ પૂર્ણ થવાથી ડુંગર ઉપર જઈને દાદાને ભેટવાનો પહેલો દિવસ હોય છે. આ દિવસની સાથે દ્રાવિડ અને વારિખિલ્લ અનશન કરી 10 કરોડ મુની સાથે મોક્ષે ગયા.રાજા અને તેના સૈનિકોની કથા જોડાયેલી છે. લોકો ભારે હર્ષોલ્લાસ પૂર્વક આ યાત્રામાં જોડાયા છે.

પોષ વદ 13 (મેરુ તેરસ)

મેરુ-ત્રયોદશી શ્રી ઋષભદેવ ભગવાન મહાવદ 13 (ગુજરાતી પોષ વદ 13)ના દિવસે અષ્ટાપદ પર્વત પર મોક્ષે પધાર્યા, તે નિમિત્તે આ પર્વને આરાધે છે. (ત્યારે ઘીનો મેરુ બનાવીને પ્રભુજીની સન્મુખ મુકાય છે. ગામે ગામ ઘીનો મેરુ બનાવીને મુકવાની પરંપરા છે.) તેથી તે દિવસે યાત્રા કરે છે. આ મેરુત્રયોદશીનું પર્વ છે.

ફાગણ સુદ 8

–શ્રી આદેશ્વર ભગવાન ગિરિરાજ પર પૂર્વ નવ્વાણું વાર (6985440000000000) પધાર્યા છે. પણ જયારે જયારે પધાર્યા છે ત્યારે આદિત્યપુર(આદપુર)થી પધાર્યા છે.અને ફાગણ સુદ 8ના પધાર્યા છે. એટલે પૂણ્યવાનો જય તળેટીથી ગિરિરાજ ઉપર આવી, દાદાના દર્શન કરી, વર્તમાનમાં તે દિશાએ નીચે એટલે વર્તમાન ઘેટીને પાયગાએ શ્રી આદીશ્વર ભગવાનનાં ચરણપાદુકાની દેરી છે, ત્યાં દર્શન ચૈત્યવંદન કરીને, પાછા ઉપર આવે છે અને દાદાની યાત્રા કરે છે.

ફાગણ સુદ 13

દિવસે ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણા કરાય છે. પ્રદક્ષિણા કરીને આદપુરમાં (પુરાણું આદિત્યપુર) પડાવ કરે છે ત્યાં બધા યાત્રાળુઓ આવે છે.

શાંબ ને પ્રદ્યુમન તે દિવસે સાડા આઠ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા છે. માટે આ દિવસની યાત્રાનો મહિમા છે.સહુ પ્રથમ દાદાની યાત્રા કરીને યાત્રિકો ભાડવાના ડુંગર પર જાય છે. ત્યાં શાંબ પ્રદ્યુમનની દેરી આવે છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઊતરવાની શરૂઆત કરે છે. એટલે ધીરે ધીરે સિદ્ધવડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદાના ચરણપાદુકા છે. ત્યાં પણ દર્શન ચૈત્યવંદન કરીને પાલના નામે ઓળખાતા પડાવમાં જાય છે. આ પ્રદિક્ષણાનો રસ્તો અતિ કઠીન છે, પણ એક વખત યાત્રા કરી હોય, તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે. આશરે 90 થી 100 જેટલા પડાવ-પાલમાં જુદા જુદા ગામના- સંઘોના તથા જૂદી જૂદી સંસ્થાઓ અને મંડળોના પાલ હોય છે. પેઢીનો પણ પડાવ-પાલ ત્યાં હોય છે. આની વ્યવસ્થા આણંદજી કલ્યાણજી કરે છે. તથા બીજા પુણ્યવાનો લાભ લે છે. તે મેળો જોવા જેવો હોય છે. હજારોની સંખ્યામાં લોકો ભક્તિ-ભાવ પૂર્વક યાત્રા કરે છે. દર વરસે આ દિવસે યાત્રાર્થે આવતા હજારો યાત્રિક ભાઈ બહેનોની સાધર્મિક ભક્તિ પાલમાં કરવામાં આવે છે, અહીંની સામાન્ય જનતામાં આ દિવસ ઢેબરીયા મેળા તરીકે પણ ઓળખાય છે.

ફાગણ વદ-8

આ દિવસે શ્રી શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયક શ્રી આદીશ્વર દાદાની પ્રતિમા તથા અન્ય જિન પ્રતિમાઓના અઢાર અભિષેક વિધિ સહીત થાય છે. આ દિવસ આદીશ્વર ભગવાનનો જન્મ તથા દીક્ષા કલ્યાણકનો દિવસ છે. આ દિવસે છઠ્ઠ એટલે કે બે સળંગ ઉપવાસ કરીને વરસીતપનો પ્રારંભ કરવામાં આવે છે.

ચૈત્રી પૂર્ણિમા-

ચૈત્ર સુદ 15 શ્રી આદીશ્વર ભગવાન ગણધર શ્રી પુંડરિક સ્વામીએ આ ગિરિ પર પોતાને અને પોતાના શિષ્યપરિવાર ને મુક્તિ પ્રાપ્ત થશે એમ ભગવાનના મુખથી જાણીને અહી સ્થિરતા કરી અને આરાધના કરી. આરાધનાપૂર્વક અનશન કરીને ચૈત્રી પૂર્ણિમાના દિવસે પાંચ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા. તેથી ગિરિરાજનો મહિમા વધ્યો, અને પુંડરિક ગિરિ એવું નામ પણ થયું. આથી ચૈત્રી પૂર્ણિમાના દિવસ મહિમાશાલી ગણાય છે. અને ગામે ગામથી –દેશે દેશથી (વર્તમાનમાં) યાત્રા એ આવે છે અને યાત્રા કરે છે. 10-20-30-40-50 પુષ્પોની માળા વગેરે ચઢાવે છે. વળી અન્ય ખેડૂત આદિ સ્થાનિક લોકો પણ આ દિવસે શ્રી ગિરિરાજ પર આવે છે, યાત્રાનો લાભ લે છે, રાસડા વગેરે લે છે અને આનંદ અનુભવે છે. આ રીતે આ ચૈત્રી પૂર્ણિમાનું પર્વ ઊજવે છે.

વૈશાખ સુદ-3 (અક્ષય તૃતીયા)

પ્રથમ તીર્થકર પરમાત્મા ઋષભદેવે ફાગણ વદ છઠ્ઠના દિવસે દીક્ષા લીધા પછી વૈશાખ સુદ 2 સુધી 13 મહિના જેટલા સમય સુધી નિર્જળા ઉપવાસ કર્યા પછી આજ દિવસે હસ્તિનાપુરમાં રાજકુમાર શ્રેયાંસના હાથે ઇક્ષુરસ ગ્રહણ કરીને પ્રથમ પારણું કરેલું, આને વરસી-તપ કહે છે. ઉમદા ભાવના, ઉત્તમ દ્રવ્ય, ઉત્કૃષ્ટ પાત્ર આ બધાના લીધે આ તપ પવિત્ર મનાય છે.

ભારતમાં જ નહિ દુનિયામાં ઠેક ઠેકાણે લોકો મોટી સંખ્યામાં આ તપ કરે છે.

અક્ષય તૃતીયાના દિવસે શત્રુંજય તીર્થની યાત્રા સાથે દાદાના દર્શન –સ્તવન અને પૂજન કરીને વરસીતપનું પારણું કરવાની ભાવના રાખતા પૂજ્ય તપસ્વી સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો તથા સેંકડો તપસ્વી ભાઈ-બહેનો પોતાના સગા સંબંધીઓ વગેરે સાથે અહી પદાર્પણ કરતા હોય છે. તળેટીની સમીપે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા નવનિર્મિત પારણાભવનમાં તમામ તપસ્વીઓને બહુમાન આદર અને ભક્તિ સાથે ઇક્ષુરસથી પારણું કરાવવામાં આવે છે. ઘણી વખતે લાખ જેટલા યાત્રિક ભાઈ-બહેનોના મહેરામણથી ઉભરાતો આ દિવસ જોવો એ લાખેણો લ્હાવો હોય છે. પેઢી તરફથી ખુબ જ સુંદર રીતે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે.

વૈશાખ વદ 6 મૂળનાયક ભગવાનની માહિતી(વર્ષગાંઠ)

શ્રી પવિત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર મૂળનાયક શ્રી આદેશ્વર દાદાના દેરાસરની વર્ષગાંઠ વૈશાખ વદ 6 (છઠ્ઠ) (વિ.સં. 1587)ની છે. મૂળનાયક દાદાની પ્રતિમાની પ્રતિષ્ઠાની પૂણ્યસ્મૃતિ નિમિત્તે દેરાસરની વર્ષગાંઠ વૈશાખ વદ 6ના ઉજવાતી હોય છે. જેમાં આદીશ્વર દાદાના જિનાલયના ઉત્તુંગ શિખર ઉપર નવી ધજાનું આરોહણ કરાવાય છે. આ દિવસ જાણે કે તીર્થની વરસગાંઠ હોય એવા ઉલ્લાસ અને ઉમંગથી ઉજવાય છે.

અષાઢ સુદ 14

(અષાઢ-ચોમાસી ચૌદસ) ભાવિકો ગિરિરાજની યાત્રાનો ઉમંગ રાખે છે અને યાત્રા એ આવે છે. વર્ષમાં એક વખત તો ગિરિરાજની યાત્રા કરવી જ જોઈએ. આથી જેને યાત્રા રહી ગઈ હોય તે છેલ્લે અષાઢ સુદ 14 ની યાત્રા કરી લે છે. કારણકે પૂર્વાચાર્યોએ વિરાધનાદિ કારણોનો વિચાર કરીને અષાઢ ચાતુર્માસિક 14 પછી ગિરિરાજની યાત્રા ના થાય, ઉપર ના ચઢાય, તેવો નિષેધ કર્યો છે, ને તેનું પાલન શ્રીસંઘ કરે છે. એટલે પણ ગિરિરાજની આ વર્ષની યાત્રા કરી લઈએ તેમ ગણીને પણ પુણ્યવાનો આ ગિરિરાજ પર અષાઢી ચોમાસાની યાત્રા કરવા આવે છે.

આ રીતે વર્ષમાં આટલા પર્વો મુખ્ય આવે છે. બાકી યાત્રા તો સદાયે આઠે મહિના કરાતી હોય છે.

ગિરિરાજની સ્પર્શના કરનારા અષાઢથી કાર્તિક સુદ 14 સુધી પાલીતાણા આવી ધર્મશાળામાં ચાતુર્માસની ધર્મ-આરાધના કરીને કૃતાર્થ થાય છે પણ ઉપર ચઢતા નથી.

શત્રુંજય ગિરિરાજ ઉપર મોક્ષે ગયેલા આત્માઓ

મનુષ્યલોકના દરેક સ્થાનથી જેટલા અનંતજીવો મોક્ષમાં ગયા છે તેનાથી અનંતગણા જીવો શત્રુંજય તીર્થના દરેક સ્થાનથી મોક્ષમાં ગયા છે. મનુષ્યલોકના શત્રુંજય સિવાયના સ્થાનમાં એકીસાથે એક, બે, ત્રણ વગેરે અલ્પ સંખ્યામાં જીવો મોક્ષે ગયા છે જ્યારે શત્રુંજય ગિરિરાજ ઉપર એકીસાથે કરોડોની સંખ્યામાં જીવો મોક્ષે ગયા છે.

 પાંચ પાંડવો 20 કરોડ મુનિઓ સાથે મોક્ષમાં ગયા છે,
આદીનાથના તીર્થમાં
અજિતસેનમુનિ 17
બાહુબલિના પુત્ર સોમયશા 13
દ્રાવિડ વારિખિલ્લજી 10
શાંબ- પ્રદ્યુમ્ન 8.5
પુંડરીક ગણધર 5
ભરતમુની 5
રામ-ભરત 3
નમિ-વિનમિ 2
શાંતિનાથ જિનના સાધુઓ 1,52,55,777
કદંબગણધર 1
સારમુનિ 1
સાગરમુનિ 1
નારદમુનિ 91,00,000
આદિત્યશા (ભારત ચક્રવર્તીના પુત્ર) 1,00,000
વસુદેવની સ્ત્રીઓ 35,000
દમિતારિમુનિ 14,000
અજિતજિનના સાધુઓ 10,000
શ્રીનંદિષેણસૂરિ 7,000
વૈદર્ભી 4,400
બાહુબલિ 1,008
થાવચ્ચાપુત્ર 1,000
સંપ્રતિજિનના થાવચ્ચા ગણધર 1,000
શુક્રપરિવ્રાજક (શુ્ક્રસૂરિ) 1,000
કાલિકમુનિ 1,000
ભરતચક્રવર્તી 1,000
સુભદ્રમુનિ 700
શૈલકાચાર્ય 500
શત્રુંજય ઉદ્ધાર

ઇતિહાસયુગ પહેલા (પ્રાગૈતિહાસિક સમયમાં) શત્રુંજય ના નીચે મુજબ બાર ઉદ્ધારો થયા છે.

ઉદ્ધાર – 1 ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં શ્રી ભરત ચક્રવર્તીએ કર્યો.

ઉદ્ધાર – 2- સૌધર્મ ઇંદ્રની પ્રેરણાથી શ્રી ભરત ચક્રવર્તીના વંશમાં થયેલ આઠમાં રાજા શ્રી દંડવીર્યે કર્યો.

ઉદ્ધાર – 3- શ્રી તીર્થંકર દેવ ના ઉપદેશથી ઈશાન ઇંદ્રે (દંડવીર્યના પછી સો સાગરોપ જેટલો કાળ ગયા બાદ) કર્યો.

ઉદ્ધાર – 4- ત્રીજા ઉદ્ધાર પછી કરોડ સાગરોપમ કાળ બાદ મહેન્દ્ર ઇંદ્રે કર્યો.

ઉદ્ધાર – 5- ચોથા ઉદ્ધાર પછી દસ કરોડ સાગરોપમ કાળ બાદ પાંચમા દેવલોક ના ઇંદ્રે કર્યો.

ઉદ્ધાર – 6- પાંચમા ઉદ્ધાર પછી લાખ કરોડ સાગરોપમ કાળ બાદ ભવન નિકાયના ઇંદ્રોએ કર્યો.

ઉદ્ધાર – 7- શ્રી અજિતનાથ ભગવાનના શાસનમાં સગર ચક્રવર્તીએ કર્યો.

ઉદ્ધાર – 8- શ્રી અભિનંદનસ્વામીના શાસનમાં વ્યંતરેન્દ્રોએ કર્યો.

ઉદ્ધાર – 9- શ્રી ચંદ્રપ્રભ પ્રભુના શાસનમાં ચંદ્રયશા રાજાએ કર્યો.

ઉદ્ધાર – 10- શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં ચક્રધર રાજાએ કર્યો.

ઉદ્ધાર – 11- શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં, પોતાના લઘુ બંધુ શ્રી લક્ષ્મણજી સાથે રહીને, શ્રી રામચંદ્રજીએ કર્યો.

ઉદ્ધાર – 12- શ્રી અરિષ્ઠનેમિનાથના શાસનમાં પાંચ પાંડવોએ કર્યો.

ઇતિહાસ-યુગમાં થયેલ ચાર ઉદ્ધારોની યાદી આ પ્રમાણે છે.

1) શ્રી મહાવીરદેવના શાસનમાં વિ.સં. 108 વર્ષમાં મધુમતી નિવાસી જાવડ શ્રેષ્ઠીએ, આચાર્યશ્રી વજ્રસ્વામીના સાનિધ્યમાં કર્યો.(તેરમો ઉદ્ધાર)

2) વિ.સં. 1211માં (મતાંતરે સં. 1213માં) ઉદયનમંત્રીના પુત્ર બાહડમંત્રીએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સાનિધ્યમાં કર્યો.(ચૌદમો ઉદ્ધાર).

3) પાટણના શ્રેષ્ઠી દેશળશાના પુત્ર સમરસિંહે(સમરશાએ) વિ.સં. 1371માં, આચાર્યશ્રી સિદ્ધસૂરિની નિશ્રામાં કર્યો.(પંદરમો ઉદ્ધાર).

4) વિ.સં. 1587 મહાન મંત્રવિધ્યા વિશારદ આચાર્ય ભગવંત શ્રી વિદ્યામંડનસૂરિજીના સાનિધ્યમાં ચિત્તોડગઢના મંત્રી સ્વનામધન્ય કરમાશાએ કર્યો.

તીર્થાધિરાજ શ્રી શત્રુંજય અંગે સાહિત્ય

શત્રુંજય સૌરભ યાને શ્રી જિન તીર્થ દર્શન

પ્રકા.શ્રી શા. જયન્તિલાલ પ્રભુદાસ, સં. 2015(વીર સવંત 2485).

શત્રુંજય સ્તવન – સાધુ કીર્તિ

શત્રુંજય સ્તવના – આદિનાથ વિનતિરૂપ – કર્તા: શ્રી પ્રેમવિજયજી (17મી સદી).

સમારારાસુ-કર્તા: શ્રી અમ્બદેવસૂરિ(દેવસૂરિ), વિ.વિ.સં. 1311.

સિત્તુંજકપ્પો – કર્તા : શ્રી ધર્મઘોષસૂરિ,ટીકાકાર પં. શ્રી શુભશીલ ગણી,ટીકા સં. 1518.

સિદ્ધગિરિરાજ યાત્રાવિધિ- પ્ર.શ્રી વોરા મુલજીભાઈ,સં. 1999.

સિદ્ધાચલ ગિરનાર સંઘ- કર્તા: પં. શ્રી વીરવિજયજી,સં. 1905.

સિદ્ધાચલનું વર્તમાન વર્ણન- લે. શ્રી ગુલાબચંદ શામજી કોરડીયા,સં. 1972.

આત્મરંજન ગિરિરાજ શત્રુંજય – પ્ર. નેમચંદ જી.શાહ,સં. 2031.

ઋષભદેવચરિત – કર્તા: શ્રી વર્ધમાનસૂરિ,સં. 1160.

ઋષભપંચાશિકા – કવિ ધનપાલ (11મી સદી).

ઋષભરાસ – કર્તા: શ્રી ગુણરત્નસૂરિ,સં. આશરે 1500.

ઋષભશતક – કર્તા: શ્રી હેમવિજયજી, સં. 1656.

ઋષભસ્તવન – કર્તા: શ્રી સંઘવિજયજી, સં. 1670.

કલ્યાણસાગરસૂરીના શિષ્ય 108 દુહા.

જય શત્રુંજય – લે. શ્રી સાંકળચંદ શાહ, સં. 2026 પછી.

તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ટૂંક પરિચય)- લે.શ્રી મધુસૂદન ઢાંકી, સં. 2031.

તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાનો અહેવાલ – લે. રતિલાલ દીપચંદ દેસાઈ, સં. 2034.

તીર્થાધિરાજ શ્રી શત્રુંજયયાત્રા માહાત્મ્ય- પ્ર. શ્રી જૈનાનંદ પ્રેસ, સં. 2027.

નવાણુ અભિષેક પૂજા- કર્તા:પં. શ્રી પદ્મવિજયજી, સં. 1581.

નવાણુપ્રકારી પૂજા – કર્તા:પં. શ્રી વીરવિજયજી, સં. 1884.

નાભિનંદનજિનોદ્ધારપ્રબંધ – કર્તા: શ્રી કક્કસૂરિ, સં. 1393.

વિમલાચલસ્તવન – કર્તા: શ્રી ક્ષેમકુશળ, સં. 1772 પહેલાં.

વિરવિજયજીકૃત દુહા, આશરે 19મી સદીના અંત ભાગમાં .

Shatrunjaya and Its Temples – James Burgess, A. d. 1869.

શત્રુંજય ઉદ્ધાર રાસ – કવિ શ્રી નયસુંદર, સં. 1638.

શત્રુંજય કલ્પકથા –કર્તા: પં. શુભશીલ ગણિ, સં. 1518.

શત્રુંજય ગિરિરાજ દર્શન –લે. પં. શ્રી કંચનસાગરજી, સં. 2036.

શત્રુંજય ગિરિરાજ સ્તવનાદિ – સંગ્રહ- સં. પં. શ્રી કનકવિજયજી.

શત્રુંજય ગિરિરાજ સ્પર્શના-લે. મુનિ શ્રી નિત્યાનંદવિજયજી, સં. 2032.

શત્રુંજય ચૈત્ય પરિપાટી – શ્રી જયસોમશિષ્ય (હસ્તલિખિત)

શત્રુંજય ચૈત્ય પરિપાટી (પ્રવાડી) – કવિ ખીમો.

શત્રુંજય (તીર્થ) ચૈત્ય પ્રવાડી – શ્રી સોમપ્રભ ગણિ (હસ્તલિખિત).

શત્રુંજયતીર્થકલ્પ (વિવિધ તીર્થકલ્પ અંતગર્ત) – કર્તા: શ્રી જિનપ્રભુસૂરિજી, સં. 1385.

શત્રુંજય તીર્થ દર્શન- લે.શ્રી ફૂલચંદ હ.દોશી,સં. 2002.

શત્રુંજય તીર્થ પરિપાટી – કર્તા: શ્રી.દેવચંદ્રજી, સં. 1695.

શત્રુંજય તીર્થમાલા – કર્તા: પં. શ્રી અમૃતવિજયજી, સં. 1840.

શત્રુંજય તીર્થમાલા – કર્તા: શ્રી વિનીતકુશલ, સં. 1772.

શત્રુંજય તીર્થમાલા રાસ ઉદ્ધારાદિક સંગ્રહ – પં. નિર્ણયસાગર પ્રેસ.

શત્રુંજય તીર્થરાસ – કર્તા: શ્રી જિનહર્ષ ગણિ, સં. 1755.

શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધ– કર્તા: શ્રી વિવેકધીર ગણિ, સં. 1587.

શત્રુંજય તીર્થોદ્વાર રાસ– કર્તા: શ્રી સમયસુંદર ગણિ, સં. 1686.

શત્રુંજય તીર્થોદ્વાર સંગ્રહ– સં. શ્રી સારાભાઇ મણિલાલ નવાબ, સં. 2000.

શત્રુંજય દિગ્દર્શન – લે. શ્રી દીપ વિજયજી, સં. 2003.

શત્રુંજય દ્રાત્રીંશિકા (બત્રીશી) – કર્તા: આ. જયશેખરસૂરિ.

શત્રુંજયની ગૌરવગાથા- કર્તા: પં. શ્રી સદગુણવિજયજી, સં. 2035.

શત્રુંજયનો વર્તમાન ઉદ્ધાર –પ્ર. જૈન આત્માનંદ સભા, સં. 1992.

શત્રુંજય પરિપાટી કર્તા: શ્રીગુણચંદ્ર, સં. 1769.

શત્રુંજય પર્વતનું વર્ણન.

શત્રુંજય પ્રકાશ અને જૈન વિરુદ્ધ પાલીતાણા ભાગ-1 અને ભાગ-2

લે.શ્રી દેવચંદ દામજી કુંડલાકર,’જૈન’ કાર્યાલય,ભાવનગર, સં. 1985.

શત્રુંજય મહાતીર્થ ગુણમાલા –સં. શ્રી મહિમાવિજયજી, સં. 2009.

શત્રુંજય મહાતીર્થ મહાત્મ્યસાર- પ્ર. વિદ્યાશાળા, અમદાવાદ.

શત્રુંજય મહાતીર્થાદિ યાત્રા વિચાર અને ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ- વિ.સં.શ્રી કપૂરવિજયજી મહારાજ, સં. 1970.

શત્રુંજયમંડન આદિનાથ સ્તવન – કર્તા: શ્રી સમરચંદ્ર, સં. 1608.

શત્રુંજય મહાત્મ્ય-કર્તા: શ્રી ધનેશ્વરસૂરિજી, સં. 477.

શત્રુંજય મહાત્મ્ય-ગુજરાતી (હસ્તલેખિત).

શત્રુંજય મહાત્મ્ય રાસ-કર્તા: શ્રી સહજકીર્તિ, સં. 1684.

શત્રુંજય મહાત્મ્યોલ્લેખ- કર્તા: પં. શ્રી હંસરત્ન ગણિ, સં. 1782.

શત્રુંજય લઘુ કલ્પ- (સારાવલી પયન્નાની ગાથાઓરૂપે), પૂર્વશ્રુતધર પ્રણીત.

શાંતિદાસ અને વખતચંદ શેઠનો રાસ – કર્તા : શ્રી ક્ષેમવર્દ્ધન, સં. 1870.

સુકૃતકીર્તિ કલ્લોલિની – કર્તા : શ્રી ઉદયપ્રભસૂરી

હિંદુસ્તાનનાં જૈન તીર્થો – સં શ્રી સારાભાઇ મણીલાલ નવાબ, સં. 2000.

નીચેના ગ્રંથોમાંથી પણ શ્રી શત્રુંજય મહાતીર્થ સંબંધી વર્ણન તથા પ્રશસ્તિ મળી શકે એમ છે.

કુમારપાળચરિત – કર્તા: શ્રી સોમતિલકસૂરિ, સં. 1424.

કુમારપાળચરિત (પ્રાકૃત) – કર્તા: શ્રી હરિશ્ચદ્ર.

કુમારપાળચરિત્ર – કર્તા: શ્રી ચારિત્ર્યસુંદર, સં. 1484 અને સં. 1507ની વચ્ચે.

કુમારપાળચરિત્ર – કર્તા: શ્રી જયસિંહસૂરિ, સં. 1422.

કુમારપાળપ્રતિબોધ – કર્તા: શ્રી સોમપ્રભાચાર્ય, સં. 1241.

કુમારપાળપ્રતિબોધપ્રબંધ – કર્તા: અજ્ઞાત, સં. 1415.

કુમારપાળપ્રબંધ – કર્તા: શ્રી જિનમંડન, સં. 1492.

કુમારપાળરાસ – કવિ શ્રી ઋષભદાસ, સં. 1670.

કુમારપાળરાસ (ચરિત્ર) – કર્તા: શ્રી જિનહર્ષ, સં. 1442.

કુમારપાળરાસ – કર્તા: શ્રી દેવપ્રભ ગણિ, સં. 1540 પહેલાં.

કુમારપાળરાસ – કર્તા: શ્રી હીરકુશળ, સં. 1640.

ચતુર્વીશતિપ્રબંધ – કર્તા: શ્રી રત્નશેખરસૂરિ, સં. 1405.

જૈન તીર્થ સર્વ સંગ્રહ – પ્ર. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, સં. 2010.

ધર્માભ્યુદાય કાવ્ય અપરનામ સંઘપતિ ચરિત્ર – કર્તા: શ્રી ઉદયપ્રભસૂરિ, વિ.સં. 1279-80 આસપાસ.

પ્રબંધચિંતામણિ – કર્તા: શ્રી મેરુતુંગસૂરિ, સં. 1361.

પ્રભાવકચરિત– કર્તા: શ્રી પ્રભાચંદ્રસૂરિ, સં. 1364.

પ્રાચીન લેખ સંગ્રહ ભાગ 2- સં. શ્રી જિનવિજયજી, સં. 1978.

વસ્તુપાલચરિત – કર્તા: શ્રી જિનહર્ષ, સં. 1793.

આ યાદી રચનાસવંતના કાળક્રમ પ્રમાણે તૈયાર કરવાના બદલે અકારાદિ ક્રમે બનાવવામાં આવી છે. અને એમાં ‘શ્રી’ ને ધ્યાનમાં લીધા વગર વર્ણક્રમ ગોઠવવામાં આવેલ છે. તપાસ કરતા જેટલી કૃતિઓની રચના સવંત મળી તેનો નિર્દેશ પણ જે તે કૃતિ સાથે કરવામાં આવ્યો છે; થોડીક કૃતિઓ એવી છે કે જેનો રચનાસવંત મળી શક્યો નથી.

વર્ષગાંઠ

શ્રી પવિત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર મુળનાયક શ્રી આદેશ્વર દાદાના દેરાસરમાં પ્રતિમાની પ્રતિષ્ઠા સંવત 1587માં વૈશાખ વદ 6 (છઠ્ઠ)ના રોજ કરવામાં આવેલ.

પૂજ્ય દાદાજીની તે દિવસે શ્રી આદેશ્વર દાદાના દેરાસરને નવી ધજા ચઢાવવામાં આવે છે.

પ્રસંગો

શ્રી શત્રુંજય તીર્થ પાલીતાણા ખાતે વર્ષ દરમિયાન આશરે 6 લાખ જેટલા જૈનો-જૈનેતર યાત્રિકો યાત્રાએ આવે છે. વર્ષ દરમિયાન નીચે મુજબના પ્રસંગો-ઉત્સવો ઉજવાય છે.

મોટી યાત્રાના દિવસો

(1) કારતક સુદ-15 (2) ચૈત્ર સુદ-15 (3) અષાઢ સુદ-14

આ દિવસો દરમિયાન 25 થી 50 હજાર જેટલા યાત્રિકો પધારે છે.

ઉત્સવો

(1) ફાગણ સુદ-13 શ્રી શત્રુંજય તીર્થ-સિદ્ધાચલજીની છ ગાઉની યાત્રા

આ દિવસે આશરે એક લાખ કરતા પણ વધુ યાત્રિકો આ તીર્થમાં આવે છે. છ ગાઉની યાત્રાની શરૂઆત શ્રી શત્રુંજય તીર્થની તળેટીએથી શરૂ થઈ ગિરિરાજ ઉપર શ્રી આદીશ્વર દાદાની મોટી ટૂંકમાં દર્શન કરીને ત્યાંથી શ્રી શત્રુંજય તીર્થની પ્રદક્ષિણા કરીને ભાડવાના ડુંગરની યાત્રા કરી ઘેટીપાગ (ઘેટીગામ) થઈ આદિપુર ગામ કે જ્યાં શ્રી આદિશ્વર દાદાનાં પગલાંની દેરી છે ત્યાં પુરી થાય છે. યાત્રા પુરી થાય તે સ્થળે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી દર વરસે બંધાતા પાલમાં પેઢી તરફથી તથા જુદા-જુદા ગામ-શહેરના જૈન સંઘો તરફથી દહીં-ઢેબરાં-બૂંદી-ગાંઠીયા-મેસુર-દૂધ-સાકરપાણી વગેરેની વિના મૂલ્યે ભક્તિ કરવામાં આવે છે.

(2) ચૈત્ર વદ 8 (ગુજરાતી ફાગણ વદ 8) 

આજનો દિવસ આદીશ્વર ભગવાનનો જન્મ તથા દીક્ષા, બે કલ્યાણકનો દિવસ હોવાથી, પવિત્ર શત્રુંજ્ય ગિરિરાજ ઉપર આદીશ્વર દાદા તથા અન્ય જિન બિંબોના અઢાર અભિષેકની વિધિ થાય છે. વિશાળ સંખ્યામાં શ્રદ્ધાસંપન્ન ભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહીને લાભ લેતા હોય છે. પ્રભુના દીક્ષા તપના પ્રતીકરૂપે અનેક પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબ અને હજારોની સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ વરસીતપની આરાધનાનો મંગલ પ્રારંભ છઠ્ઠ (બે સળંગ ઉપવાસ)નું પચ્ચખાણ લઈને કરતા હોય છે.

(3) ફાગણ વદ-8

આ દિવસે શ્રી શત્રુંજય તીર્થ ઉપર આદીશ્વર દાદાના તથા અન્ય જિન પ્રતિમાજીઓના અઢાર અભિષેકની વિધિ થાય છે.

(4) વૈશાખ સુદ-3 (અક્ષય તૃતિયા)

આ પવિત્ર દિવસે વર્ષીતપના તપસ્વીઓ પારણા કરવા માટે પાલીતાણા મુકામે સગા-સંબંધીઓ સાથે આવે છે. વર્ષીતપની તપશ્ચર્યામાં એક દિવસ નકોરડો ઉપવાસ અને એક દિવસ બેસણું (બે ટંકનું ભોજન) એ રીતે આખા વર્ષનું તપ કરવાનું હોય છે. આ દિવસે તપસ્વીઓ શ્રી શત્રુંજય તીર્થ ઉપર જઈ આદીશ્વર દાદાની ઈક્ષુરસ (શેરડીનો રસ)થી પ્રક્ષાલપૂજાનો લાભ લઈ પાલીતાણામાં પારણું કરે છે. આ દિવસે આશરે 1 લાખ જેટલા યાત્રિકો પાલીતાણા આવે છે. પારણાની વ્યવસ્થા જય તળેટી પાસે પારણાભવનમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા કરવામાં આવે છે.

સમયપત્રક

શ્રી પવિત્ર શંત્રુજય તીર્થ ઉપર મોટી ટૂંક (મુખ્યટૂંક)માં પૂજ્ય શ્રી આદીશ્વર દાદા (ઋષભદેવ)ના દેરાસરમાં દાદાની પ્રક્ષાલપૂજા આરતીના સમયમાં ઋતુઓ પ્રમાણે ફેરફાર થતો રહે છે જે નીચે દર્શાવ્યા મુજબ છે :

વિગત કારતક સુદ પૂનમ થી મહા વદ અમાસ ફાગણ સુદ એકમ થી ચૈત્ર વદ અમાસ વૈશાખ સુદ એકમ થી અષાઢ સુદ ચૌદસ
રામપોળ દરવાજો ખોલવાનો સમય સૂર્યોદય સૂર્યોદય સૂર્યોદય
પૂ. આદીશ્વર દાદાના પ્રક્ષાલ
માટેના બેલ્ટ બાંધવાનો સમય
સવારે 08:45 સુધી સવારે 08:45 સુધી સવારે 08:45 સુધી
આંગીના દર્શન સવારે 9.30 સુધી સવારે 9.00 સુધી સવારે 8.30 સુધી
પૂ.આદીશ્વર દાદાની પ્રક્ષાલ પૂજા સવારે 9.50 સવારે 9.20 સવારે 8.50
પૂ.આદીશ્વર દાદાની કેસર પૂજા સવારે 10.50 સવારે 10.20 સવારે 9.50
પૂ.આદીશ્વર દાદાની ફૂલ પૂજા સવારે 11.00 સવારે 10.30 સવારે 10.00
પૂ.આદીશ્વર દાદાની મુગટ પૂજા સવારે 11.10 સવારે 10.40 સવારે 10.10
આરતી-મંગલદીવો (સવારે) સવારે 11.20 સવારે 10.50 સવારે 10.20
લાઈનમાં પૂજા શરૂ સવારે 11.20 સવારે 10.50 સવારે 10.20
પૂ.દાદાજીની આંગી ધારણ કરાવવી સાંજે 3.30 સાંજે 4.00 સાંજે 4.00
આરતી મંગલદીવો સાંજે 4.00 સાંજે 4.30 સાંજે 4.30
રામપોળ દરવાજો બંધ કરવાનો સમય સાંજે 5.00 સાંજે 5.30 સાંજે 5.30

 
નોંધ : યાત્રિકશ્રીની સંખ્યા મુજબ ઉપરોક્ત સમય ફેરફાર થવા સંભવ રહેતો હોઈ પેઢીની વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી.

ધર્મશાળા તથા ભોજનશાળા

પાલીતાણા સ્થિત જૈન ધર્મશાળામાં આવેલ દહેરાસર તથા ભોજનશાળાનું લીસ્ટ
પાલીતાણા તીર્થમાં સ્વતંત્ર તથા ધર્મશાળાઓના પરિસરમાં 68 જેટલા નાના મોટા જૈન દેરાસરો છે. કેટલીક ધર્મશાળાઓમાં ઉપાશ્રયની સગવડતા પણ છે. સ્વતંત્ર ઉપાશ્રયો પણ સારી સંખ્યામાં છે.
અહીંની ભૂમિ ઉપર 125થી વધારે નાની મોટી જૈન ધર્મશાળાઓ છે. કેટલીક તો આધુનિક સગવડતા સંપન્ન વાતાનુકૂલિત તથા લીફ્ટની સગવડતા સાથેની છે. આ ધર્મશાળાઓ જૈન નિયમોના પાલન કરનારા યાત્રિક ભાઇબહેનોને ઉતરવાની-રહેવાની સગવડતા પૂરી પાડે છે. દરેક ધર્મશાળાના નિયમો, નકરાઓ(ભાડુ) તથા આવવા-જવાના નિયમો વગેરે અલગ અલગ હોય છે.
યાત્રિક ભાઇબહેનોની સગવડતા માટે પાલીતાણામાં લગભગ 50 જેટલી જૈન ભોજનશાળાઓ કાર્યરતછે. નિશ્ચિત દરથી આ ભોજનશાળામાં સારી ગુણવત્તાવાળું જૈન ભોજન પરીસવામાં આવે છે. ઘણી ભોજનશાળામાં એકાસણા-બેસણા-આયંબીલની તપશ્ચર્યા કરનારાઓ માટે વિશેષ સગવડતા હોય છે. ઉકાળેલું પાણી પણ ઘણા બધા માટે રાખવામાં આવે છે. કેટલીક ભોજનશાળામાં સવારના ચા પાણીની નાસ્તાની(નવકારશી) વિશેષ સગવડતા હોય છે.
શેઠ આણંદજી કલ્યાણજી – પાલીતાણા (02848) 252148
પાલીતાણા S.T.D. કોડ (02848)

ધર્મશાળાનું નામ દહેરાસર મૂળનાયક નુ નામ ભોજનશાળા ટેલીફોન નંબર
પાંચ બંગલા (શેઠ આણંદજી કલ્યાણજી) 252476
108 જૈન તીર્થદર્શન શ્રી 108 પાર્શ્વનાથ ભગવાન 252492/242797
હરિવિહાર જૈન ધર્મશાળા 252653
આગમ મંદિર શ્રી ચૈામુખજી 252195
સૌધર્મ નિવાસ જૈનધર્મશાળા શ્રી નાકોડા પાર્શ્વનાથ 252333
અંકીબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી મુનિસુવ્રતસ્વામી 252603
સોના-રૂપા જૈન ધર્મશાળા 252376
અમૃરતીર્થ આરાધના ભવન 242407
સૂર્યકમલ જૈન ધર્મશાળા 242349
આનંદભુવન જૈન ધર્મશાળા 252562
સુરાણીભુવન જૈન ધર્મશાળા 252631
આયંબીલ ભુવન જૈન ધર્મશાળા 252830
સીમંધરસ્વામી જૈન ધર્મશાળા શ્રી સીમંઘરસ્વામી ભગવાન 243018
ઓસવાલ યાત્રિક ભુવન શ્રી આદીનાથ ભગવાન 252240/251001
સિધ્ધાચલ જૈન યાત્રિક ભુવાન
ઓમશાંતિ ધર્મશાળા 294121
સાબરમતી જૈન યાત્રિક ભુવાન શ્રી મહાવીર સ્વામી 252709
સાદડી ભુવન શ્રી આદીશ્વર ભગવાન 252368/242259
સિધ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ શ્રી આદીશ્વર ભગવાન 252196
મંડાર ભુવન (ગિરિ.સોસા.) 252561
શત્રુંજ્ય વિહાર જૈન ધર્મશાળા 242129
ગજેન્દ્ર જૈન ભુવન 252746
નવલ સંદેશ 243068
ઘંટાકર્ણ મહાવીર જૈન ટ્રસ્ટ 252234/252413
ગિરિવિહાર શ્રી આદીશ્વર ભગવાન 252258
ગિરિરાજ જ્ઞાનમંદિર ટ્રસ્ટ 253230
ધનસુખ વિહાર જૈન ધર્મશાળા
પુરવાઈ જૈન ધર્મશાળા 252145
પંજાબી જૈન ધર્મશાળા શ્રી વાસુપુજ્યસ્વામી ભગવાન 252141
મૂક્તિનિલય ધર્મશાળા 252165
દાદાવાડી રાજેન્દ્ર વિહાર શ્રી આદીનાથ ભગવાન 252248
દીગંબર જૈન ધર્મશાળા 252547
દિપાવલી જૈન દર્શન ટ્રસ્ટ 242341
લુણાવા મંગલભુવન ટ્રસ્ટ શ્રી આદીશ્વર ભગવાન 252316
કે.એન.શાહ ચેરીટેબલ ટ્રસ્ટ 24089
નરશી નાથા જૈન ધર્મશાળા શ્રી ચંદ્રપ્રભુસ્વામી ભગવાન 252186
નંદાભુવન શ્રી સહસ્ત્રફણાપાર્શ્વનાથ 252356/252385
જેતાવાડા ધર્મશાળા શ્રી આદીશ્વર ભગવાન 243067
વિદ્યાવિહાર બાલીભુવન શ્રી સંભવનાથ ભગવાન 252498
ધાનેરા ભવન શ્રી પાર્શ્વનાથ ભગવાન 242174
પીંડવાડાભવન(પ્રેમ વિહાર) 252930
તખતગઢ મંગલ ભુવન શ્રી આદીશ્વર ભગવાન 252167
ડીસાવાળી જૈન ધર્મશાળા 252569
મગન મુલચંદ 252276
વાવપંથક શ્રી અજીતનાથ ભગવાન 253253
લાવણ્ય વિહાર 252578
ચાંદભુવન 24137
બ્રહ્મચારી આશ્રમ 242248
વર્ધમાન જૈન મંદિર શ્રી સીમંઘરસ્વામી ભગવાન 253898
યશોવિજયજી જૈન આરાધાના ટ્રસ્ટ શ્રી સંકટહરપાર્શ્વનાથ ભગવાન 242433
નિત્યચંદ્ર દર્શન શ્રી આદીશ્વર ભગવાન 252181
શત્રુંજય દર્શન શ્રી શ્રેયાંસનાથ ભગવાન 252512
યતિન્દ્ર ભુવન શ્રી સુમતીનાથ ભગવાન 252237
વર્ધમાન મહાવીર જૈન રીલીજીયસ 242275
જંબુદ્વીપ શ્રી મહાવીરસ્વામી ભગવાન 242022/252307
ભેરૂ વિહાર 242984/252784
ખુશાલભુવન જૈન ધર્મશાળા 252873
ખીમઈબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી શીતલનાથ ભગવાન 253237/242573
ખિવાન્દીભુવન ધર્મશાળા શ્રી આદીશ્વર ભગવાન 252810
ઉમાજીભવન ધર્મશાળા 252625
કંકુબાઈ જૈન ધર્મશાળા(ધર્મશાંતી) 252598
કોટાવાળી જૈન ધર્મશાળા 252662
કેશરીયાજી જૈન ધર્મશાળા શ્રી આદીશ્વર ભગવાન 252213
કેશવજી નાયક ચેરીટી ટ્રસ્ટ 242578/252647
ક્નકબેનનું રસોડુ 242578
કચ્છી વિશા ઓશવાલ ભવન શ્રી આદીશ્વર ભગવાન 252137
બનાસકાંઠા જૈન ધર્મશાળા 252395
એસ.પી.શાહ જૈન ધર્મશાળા 242190
પ્રભવહેમ ગિરિવિહાર 251003
પ્રભાગીરી ભવન શ્રી મુનિસુવ્રતસ્વામી 251213/243020
પરમાર ભવન 252899
કનકરતન વિહાર 251046/252869
પાલનપુર યાત્રિક ભવન 242666
હાડેચાનગર જૈન ધર્મશાળા 242591/242590
હિંમતનગર જૈન ધર્મશાળા શ્રી શાંતિનાથ ભગવાન 252549
હિરા શાંતા જૈન યાત્રિકગૃહ શ્રી મહાવીરસ્વામી ભગવાન 253256
સાંડેરાવ જૈન ધર્મશાળા શ્રી સહસ્ત્રફણાપાર્શ્વનાથ ભગવાન 252344
ખીમ્મત યાત્રિક ભવન શ્રી પાર્શ્વનાથ ભગવાન 242957/242108
ખેતલાવીર જૈન ધર્મશાળા 252484
કે.પી.સંઘવી ધર્મશાળા 252493
પાદરલી ભવન શ્રી કલ્યાણપાર્શ્વનાથ ભગવાન 252486
ભક્તિ વિહાર 252515
વિશાલ જૈન મ્યુઝીયમ શ્રી આદીશ્વર ભગવાન 252832
વીસા નીમા 252279
મહારાષ્ટ્ર ભુવન શ્રી આદીશ્વર ભગવાન 252193
બેંગ્લોર ભુવન શ્રી ચંદ્રપ્રભુ સ્વામી 252389
પન્ના-રૂપા 252391
કચ્છ વાગડ ધર્મશાળા શ્રી સંભવનાથ ભગવાન ૨૫૨૪૫૭
ચંદ્ર-દીપક જૈન ધર્મશાળા 252235
મોક્ષધામ સિધ્ધ શીલા 243027/243214
બાબુ સાહેબ જૈન દેરાસર શ્રી આદીશ્વર ભગવાન 242973
જીવન નિવાસ 252197
રણશી દેવરાજ 252211
બાબુ પન્નાલાલ 252977
પ્રકાશ ભુવન 252348
ધનાપુરા ધર્મશાળા 252209
રાજકોટવાળી ધર્મશાળા 253178
સાંચોરી ભવન શ્રી આદીશ્વર ભગવાન 242276/242344
ઢઢાભુવન 252453
વાપીવાલા કાશી કેશર 2522293
આનંદભુવન(અન્નક્ષેત્ર) 242964
દેવગીરી આરાધના 243083
ભિનમાલ ભુવન 243058
108 મંત્રેશ્ર્વર પાર્શ્ર્વધામ 243367
મોતીસુખીયા ધર્મશાળા શ્રી આદીશ્વર ભગવાન 252177
કૈલાસસ્મૃતિ ધર્મશાળા 252799
હુંડિયા ભવન શ્રી અજિતનાથ ભગવાન ૨૫૧૧૨૫
તલાવત ભવન શ્રી સુમતિનાથ ભગવાન
વડેચા ભવન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન
27 એકડા જૈન યાત્રિક ભવન શ્રી આદીનાથ ભગવાન 253399
નંદપ્રભા શ્રી મહાવીર સ્વામી 253876/243287/223287
ભાઈ-બહેન ધર્મશાળા શ્રી પાર્શ્વનાથ  ભગવાન 212111
મેવાડ ધર્મશાળા 243433
સંભવ લબ્ધિધામ શ્રી સંભવનાથ ભગવાન 243441
બી.એસ.સંઘવી 242166
ચેન્નઈ ધર્મશાળા 242319/242318
થરાદ ધર્મશાળા શ્રી મહાવીર સ્વામી 252854
મોહનબાગ ધર્મશાળા 251569
અધાઈ શ્રી વાસુપુજ્યસ્વામી 251578
મહુડી ધર્મશાળા 252178
અદાણીભવન 242237
રત્નયત્રી ધર્મશાળા (ઝાલાવાડ) શ્રી 102 પ્રતિમાજી 243396
માણીભદ્ર ભાતાઘર મંદિર શ્રી માણિભદ્રવીર 243199
કલ્યાણ સૌભાગ્ય(જાલોરભવન) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન 212433
બોથરા(કમલમંદિર) ધર્મશાળા શ્રી સીમંઘરસ્વામી ભગવાન 251042
હિંમતવિહાર ધર્મશાળા શ્રી શાંતીનાથ ભગવાન 252549
કસ્તુરધામ (નિલમ વિહાર) શ્રી આદીનાથ ભગવાન 242231
ત્રિલોકદર્શન 242999
કચ્છીભવન શ્રી આદીશ્વર ભગવાન 252145
દક્ષવિહાર 242388
શંખાકાર દેરાસર/ધર્મશાળા 9427047537

યોજનાઓ

પાલીતાણા ગિરિરાજ ઉપર પુ.દાદાજીની આંગી

. નં. યોજનાની વિગત રકમ નામ ક્યાં સ્થળે લખાશે
1. પુ. દાદાજીની વગરમિતિએ આંગી (કા.સુદ – 15, ચૈત્ર– 15)

ગામના દેરાસરો મા દરેક કલ્યાણકો વર્ષગાંઠ વિ. આંગી

10,000/- કે તેથી વધુ રકમ કોઈ જગ્યાએ નામ આવશે નહીં

 

2. પુ. દાદાજીની એક દિવસ પુરતી યાત્રીક આંગી ડ્રોથી મેળવવા માટે.

(સોનાના વરખની)

દર વર્ષે નકરો નક્કી થાય તે મુજબ અરજી ગુજરાતી મહિના કારતક થી અષાઢ સુદ–13 સુધીની કરવાની રહેશે. આંગી માટે સંપર્ક : ટે.નં.-02848-25048

પાલીતાણા તીર્થમાં દાનની યોજનાઓ

. નં. યોજનાની વિગત કાયમી કોર્પસ રુ. તકતીની ટૂંકની વિગત/નામ ક્યા સ્થળે લખાશે
1. સર્વ સાધારણ 2.00” ના અક્ષર

સર્વ સાધારણ 1.5” ના અક્ષર

સર્વ સાધારણ 01” ના અક્ષર

1,08,00,000/-
પ્રમુખ લાભાર્થી51,00,000/-
મુખ્ય લાભાર્થી21,00,000/-
સહયોગી લાભાર્થી
ગિરિરાજ ઉપર સગાળકુંડ આગળ ઓફીસની બાજુમાં 60 અક્ષરની મર્યાદામાં પૂ. ગુરુ ભગવંતનું નામ લખવામાં આવશે. રકમ કોર્પસ ખાતે જમા રાખી વ્યાજ વાપરવામાં આવશે. વ્યાજ પેઢી હસ્તકના તમામ તીર્થોમાં વાપરવામાં આવશે. રકમ ચેકથી સ્વીકારવામાં આવશે.
2. દેરાસર સાધારણ – 45” 1.5” 1,11,111/- ગિરિરાજ ઉપર સગાળપોળ દરવાજાની બહાર ઘેટી પાગ જવાના રસ્તે ડાબી બાજુ દિવાલ ઉપર આરસની તકતીમાં નામ લખવામાં આવશે, તથા ઉપદેશક તરીકે મહારાજ સાહેબનું નામ સાથે કુલ 41 અક્ષરની મર્યાદામાં લખવામાં આવશે. રકમ કોર્પસ ખાતે જમા રાખી વ્યાજ વાપરવામાં આવશે. રકમ ચેકથી  સ્વીકારવામાં  આવશે.
3. સર્વ સાધારણ – 45” 1.5” 1,11,111/- ગિરિરાજ ઉપર સગાળપોળ દરવાજાની બહાર ઘેટી પાગ જવાના રસ્તે ડાબી બાજુ દિવાલ ઉપર આરસની તકતીમાં નામ લખવામાં આવશે, તથા ઉપદેશક તરીકે મહારાજ સાહેબનું નામ સાથે કુલ 41 અક્ષરની મર્યાદામાં લખવામાં આવશે. રકમ  કોર્પસ  ખાતે જમા રાખી વ્યાજ વાપરવામાં આવશે. રકમ ચેકથી  સ્વીકારવામાં  આવશે.
4. ફાગણ સુદ 13ના રોજ ભાતું તથા તે દિવસનું અન્ય ખર્ચ 50,000/- સિદ્ધવડ  આદપુર ખાતે પેઢીના ભાતાના પાલમાં આરસની તકતીમાં નામ લખવામાં આવશે. રકમ  કોર્પસ ખાતે જમા રાખી વ્યાજ વાપરવામાં આવશે.
5. ગામના મોટા દેરાસર

ગોડીજી દેરાસર

જસકુંવર દેરાસર

1,000/-

1,000/-

1,000/-

ખાલી હોય તે તિથિમાં મળે. (એક તિથિમાં વધુમાં વધુ 10 નામની નોંધણી કરવામાં આવશે.) તિથિના દિવસે બોર્ડ ઉપર દેરાસરમાં નામ લખવામાં આવશે.

રકમ કોર્પસ ખાતે જમા રાખી વ્યાજ વાપરવામાં આવશે.

6. ગામના મોટા દેરાસરે

(સર્વ સાધારણ)

21,000/-

11,000/-

મોટા દેરાસરના પરિસરમાં આરસની તકતીમાં 41 અક્ષરની મર્યાદામાં લખવામાં આવશે.

(રકમ કોર્પસ ખાતે જમા રાખી વ્યાજ વાપરવામાં આવશે.)

7. સુવર્ણ મહોત્સવ સર્વસાધારણ ફંડ

પુ.દાદાના જિનાલયની 500મી સાલગીરી પ્રસંગ

(સંવત:- 2087 વૈશાખ વદ-6, તા. 12-05-2031

5,400/- આ રકમ, પેઢીની કોઈપણ શાખામાં અથવા https://anandjikalyanjipedhi.org

પર ઓનલાઈન જમા કરાવી શકાશે.

પાલીતાણા જય તળેટી ની આંગી – મહાપૂજા

. નં. યોજનાની વિગત રકમ નામ ક્યાં સ્થળે લખાશે
1. જય તળેટીએ આંગી વહેલા તે પહેલાના ધોરણે યાત્રિક  આંગી નોંધવામાં આવે છે. દર વર્ષે નકરો નક્કી થાય તે મુજબ જય તળેટીએ બોર્ડમાં નામ લખાશે. બાર માસ ની આંગી લખાશે. સંપર્ક કરવો ટે.નં.-02848-253348
2. જય તળેટીએ મહાપૂજા વહેલા તે પહેલાના ધોરણે નોંધવામાં આવે છે. દર વર્ષે નકરો નક્કી થાય તે મુજબ સંપર્ક કરવો ટે.નં.- 02848-253348
3. જય તળેટીએ સ્નાત્ર/પૂજા વહેલા તે પહેલાના ધોરણે નોંધવામાં આવે છે. દર વર્ષે નકરો નક્કી થાય તે મુજબ સંપર્ક કરવો ટે.નં.- 02848-253348

પાલીતાણા ગિરિરાજ ઉપર રંગમંડપમાં પૂજા

. નં. યોજનાની વિગત રકમ નામ ક્યાં સ્થળે લખાશે
1.

 

ગિ.ઉપર પુ. દાદાજીના રંગમંડપમાં પૂજા (યાત્રીક) વહેલા તે પહેલાના ધોરણે નોંધવામાં આવે છે. દર વર્ષે નકરો નક્કી થાય તે મુજબ ગિરિરાજ ઉપર બોર્ડમાં નામ લખાશે. ગુજરાતી મહિના કારતક થી અષાઢ સુદ–13 સુધીની કરવાની રહેશે. આંગી માટે સંપર્ક કરવો ટે.નં.-02848-252148
2. ગિ. ઉપર પૂ. દાદાજીના દેરાસર ફરતે રથયાત્રા ફેરાવવા જે રથ બગી, ઈન્દ્ર ધજા વિ. રથખાનામાંથી બહાર કાઢવા માટેનો નકરો વહેલા તે પહેલાના ધોરણે નોંધવામાં આવે છે. (રથયાત્રા ની ઘી બોલી બોલવામાં આવશે.) દર વર્ષે નકરો નક્કી થાય તે મુજબ કોઈ જગ્યાએ નામ આવશે નહીં

ગુજરાતી મહિના કારતક થી અષાઢ સુદ– 13 સુધીની રથયાત્રા રહેશે. રથયાત્રા માટે સંપર્ક કરવો ટે.નં.- 02848-252148

પાલીતાણા ભાતાઘરમા ભાતુ/ચા/ઉકાળો/સાકરપાણી

1. ભાતાઘરે ભાતુ
(યાત્રિક ભાતુ)
ભાતાનો તે દિવસનો સંપુર્ણ ખર્ચ થાય તે લાભાર્થી પરિવારે ભરવાનો રહેશે. ગુજરાતી મહિના કારતકથી અષાઢ સુદ– 13 સુધીની કરવાની રહેશે. ભાતા માટે સંપર્ક કરવો ટે.નં.- 02848-252581. જેટલી અરજી આવશે તેમાંથી ડ્રો કરવામાં આવશે. નિયમ મુજબ રકમ ચેકથી ભરવાની રહેશે. (ભાતાનો જે ખર્ચ થાય તે સંપૂર્ણ ભરવાનો રહેશે.)
2. ભાતાઘરે ચા ઉકાળો
(યાત્રિક ચા ઉકાળો)
ચા ઉકાળાનો તે દિવસનો સંપુર્ણ ખર્ચ થાય તે લાભાર્થી પરિવારે ભરવાનો રહેશે. વહેલા તે પહેલા ધોરણે જે તિથિ ખાલી હશે તે આપવામાં આવશે. (કારતકથી અષાઢ સુદ–13 સુધીની કરવાની રહેશે.) ચા માટે સંપર્ક કરવો (ચા અને ઉકાળાનો જે ખર્ચ થાય તે સંપૂર્ણ ભરવાનો રહેશે.) ટે.નં.- 02848-252581. નિયમ મુજબ ડીપોઝીટ રોકડ/ચેકથી ભરવાની રહેશે.
3. ભાતાઘરે સાકર પાણી
(યાત્રિક સાકર પાણી)
દર વર્ષે નકરો નક્કી થાય તે મુજબ વહેલા તે પહેલાનાં ધોરણે જે તિથિ ખાલી હશે તે આપવામાં આવશે. (કારતકથી અષાઢ સુદ–13 સુધીની કરવાની રહેશે.) ચા માટે સંપર્ક કરવો ટે.નં.- 02848-252581. નિયમ મુજબ ડીપોઝીટ રોકડ/ચેકથી ભરવાની રહેશે.

નજીકના તીર્થ સ્થળો

પાલીતાણા નજીકના તીર્થ સ્થળો

શ્રી શત્રુંજય તીર્થ પાલીતાણાની આજુ-બાજુમાં નીચે મુજબનાં જૈન યાત્રા સ્થળો આવેલા છે:

પાલીતાણા તીર્થ – સંપર્ક

શેઠ આણંદજી કલ્યાણજી, રજની શાંતિ માર્ગ, પાલીતાણા – 364270.
ઓફીસ 02848 253656
02848 252148
Fax-મેનેજરશ્રી 02848 243348
ભાતાઘર (તળેટી) 02848 252581
પાંચ બંગલા ઘર્મશાળા (તળેટી) 02848 252476
માહિતિ કેન્દ્ર (તળેટી) 02848 253348
મેનેજરશ્રી (મોબાઈલ) 94280 00609
ગિરિરાજ (પર્વત ઉપર) 70690 06530
ગિરિરાજ-ઇન્સપેક્ટર (મો). 87808 73282